Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આપણે ભારતીય સંતોના સંતાન છીએ, વાંદરા નહીં: ભારતીય જનતા પાર્ટીના સાંસદ સત્‍યપાલસિંહનું નિવેદન

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સત્યપાલ સિંહે શુક્રવારે માનવાધિકાર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019ના વિરોધને લઈને વિપક્ષની આકરી ટીકા  કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય માનવાધિકારને લઈને વાત નથી કરાઈ પરંતુ સારા સદાચારી માનવીય ચરિત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકસભામાં વિધેયક પર ચર્ચામાં ભાગ લેતા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે કહ્યું કે માનવી પ્રકૃતિની વિશેષ રચના છે. અમારું માનવું છે કે 'આપણે ભારતીય સંતોના સંતાન છીએ. અમે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જેમનું એવું કહેવું છે કે તેઓ વાંદરાઓના સંતાન છે.'

તેમણે કહ્યું કે 'આપણી સંસ્કૃતિમાં માનવીય ચરિત્રના નિર્માણ પર  ભાર અપાય છે. આપણા વેદોમાં આપણને સદાચારી મનુષ્ય બનવા અને સારા માણસ પેદા કરવાનું શિક્ષણ અપાયું છે. આપણી સંસ્કૃતિ સાચા માનવી બનવા પર ભાર મૂકે છે.'

સંસ્કૃતિમાં એક ઉદાહરણ રજુ કરતા તેમણે કહ્યું કે 'મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, અને ચર્ચ જવાથી ધર્મની કસોટી પૂરી થતી નથી. ધર્મ મુજબ, આપણે તે જ રીતે વ્યવહાર કરવો જોઈએ જે પ્રકારના વ્યવહારની અપેક્ષા આપણે બીજા પાસેથી પોતાના માટે કરીએ છીએ. જો હું કેવા માંગુ કે કોઈ મને પરેશાન ન કરે તો મારે પણ કોઈને પરેશાન કરવા જોઈએ નહીં. આ ધર્મ છે.'

'હું એક એવા ભારતની કલ્પના કરું છું, જ્યાં રાષ્ટ્રપતિ વેદોની શપથ લે'

અત્રે જણાવવાનું કે આ અગાઉ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે કહ્યું કે તેઓ એક એવા ભારતની કલ્પના કરે છે જ્યાં રાષ્ટ્રપતિ વેદ પર હાથ રાખીને પોતાના પદના શપથ લે. જેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈબલની શપથ લે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રીએ આર્ય સમાજના ચાર દિવસના વૈશ્વિક સંમેલનમાં આ ટિપ્પણી કરી. તેમણે તેને તેના અનુયાયીઓનો મહાકુંભ ગણાવ્યો.

સિંહે કહ્યું કે અમે જોયુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના પદના શપથ બાઈબલ પર હાથ રાખીને લે છે. હું એક એવા ભારતની કલ્પના કરું છું જ્યાં રાષ્ટ્રપતિ વેદ પર હાથ રાખીને શપથ લે. તેમણે એમ પણ કહ્યું કે દેશ જે મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે તે બધાનું સમાધાન 'ઋષિ જ્ઞાન' છે.

દેશે વેદો તરફ પાછા ફરવું પડશે

મંત્રીએ કહ્યું કે દેશે પોતાના ગુમાવેલા ગૌરવને પાછું મેળવવા માટે વેદો તરફ પાછું ફરવું પડશે. આ અવસરે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ચાર દિવસના સંમેલનમાં ગૌ કલ્યાણ, ખેડૂત હત્યા, પર્યાવરણ સંકટ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવી પડશે.

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે તેઓ આરએસએસ અને આર્યસમાજ સાથે ખુબ નજીકથી જોડાયેલા હતાં અને તેમની જ તાલીમે તેમને જાતિ અને પેટાજાતિ છોડવા માટે પ્રેરિત કર્યાં. તેમણે કહ્યું કે અહીં હાજર કોઈ જાણતું નથી કે મારી જાતિ કઈ છે.

(4:51 pm IST)