Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ધોની બે મહિના ક્રિકેટ નહિ રમેઃ સૈનિકો સાથે રહેવાનું એલાન

તમામ પ્રકારની અટકળોનો અંતઃ વિન્ડીઝ પ્રવાસે ધોની નહિ જાય પરંતુ બે મહિના પોતાની પેરામિલિટ્રી રેજીમેન્ટ સાથે સમય પસાર કરશેઃ બીસીસીઆઈને કરી જાણ : ધોની ટેરીટોરીયલ આર્મીની પેરાશુટ રેજીમેન્ટમાં લેફ. કર્નલ છેઃ ૩૮ વર્ષના ધોનીએ અત્યાર સુધી ૩૫૦ વન-ડે મેચ રમ્યા છેઃ ટેસ્ટમાંથી ૨૦૧૪માં લીધી હતી નિવૃતિઃ વર્લ્ડ કપમાં દેખાવ સારો નહોતો રહ્યો

નવી દિલ્હી, તા. ૨૦ :. ભારતના દિગ્ગજ વિકેટ કીપર - બેટ્સમેન - પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના સન્યાસ અને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે ન જવાની તમામ અટકળો પર વિરામ લગાવી દીધુ છે. ૩૮ વર્ષીય ધોનીએ બીસીસીઆઈને જણાવ્યુ છે કે તેઓ હાલ બે મહિના કોઈપણ પ્રકારના ક્રિકેટ માટે ઉપલબ્ધ નહિ રહે. ધોની આવતા બે મહિના માટે પેરા સૈન્ય રેજીમેન્ટમાં સામેલ થઈ રહ્યા છે.

આનાથી એ સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડીયા સાથે વિન્ડીઝના પ્રવાસે નહિ જાય. ભારતીય ટીમ ૩ ઓગષ્ટથી વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ૩ ટી-૨૦, ૩ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે. આવતીકાલે આ પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની છે.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ છે કે ધોનીએ એવુ કહ્યુ છે કે વિન્ડીઝના પ્રવાસે તે નહિ જાય. તેઓ આવતા બે મહિના માટે પેરામિલિટ્રી રેજીમેન્ટમાં સમય વિતાવશે. ધોનીએ આવતીકાલે યોજાનારી પસંદગીકારોની બેઠક પહેલા આ ફેંસલો લીધો છે. તેમણે કેપ્ટન કોહલી અને એમએસકે પ્રસાદને પણ આ અંગેની જાણ કરી છે.

અધિકારીએ કહ્યુ છે કે ધોનીના આ નિવેદનથી એવી આશા છે કે તેઓ હાલ નિવૃત થવા નથી વિચારતા. ધોનીએ નિવૃતિની જાહેરાત નથી કરી પણ બે મહિના તેઓ કોઈ ક્રિકેટ નહી રમે. આ પહેલા એવુ અનુમાન હતુ કે ધોની વર્લ્ડ કપ બાદ નિવૃતિ લઈ લેશે.

અત્રે નોંધનીય છે કે ધોની ટેરીટોરીયલ આર્મીની પેરાશુટ રેજીમેન્ટમાં લેફટ કર્નલ છે. તેઓ બે મહિના આ રેજીમેન્ટ સાથે પસાર કરશે. એવુ મનાય છે કે ધોનીનુ સ્થાન રૂષભ તંત લેશે.

(3:09 pm IST)