Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર થનારી ચર્ચા અંગે આ ૧૧ વાતો ખાસ સમજવી જરૂરી

મોદી સરકાર વિરૂધ્ધ આજે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે : આ પ્રસ્તાવ દ્વારા વિપક્ષ પોતાની એકજૂથતા : દર્શાવવા માંગે છે : જ્યારે ભાજપ સરકાર વિપક્ષના આ અવિશ્વાસના પ્રસ્તાવને મોટું રાજકીય હથિયાર બનાવવા માંગે છે

નવી દિલ્હી તા. ૨૦ : મોદી સરકાર વિરૂધ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ દ્વારા વિપક્ષ પોતાની એકજૂથતા દર્શાવવા માંગે છે. જયારે ભાજપ સરકાર વિપક્ષના આ અવિશ્વાસના પ્રસ્તાવને મોટું રાજકીય હથિયાર બનાવવા માંગે છે. આજે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદનું કામકાજ સામાન્ય દિવસો કરતા અલગ રહેશે.

ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવને પોતાના ચૂંટણી અભિયાનનું લોન્ચિંગ પેડ માને છે, જાણો કેમ?

૧. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારી મુખ્ય પાર્ટી ટીડીપી લોકસભામાં પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરશે. તેને સદનમાં બોલવા માટે ૧૩ મિનિટનો સમય આપવામાં આવ્યો છે. પાર્ટી તરફથી જયદેવ ગલ્લા પહેલા વકતા હશે.

૨. લોકસભામાં સવારે ૧૧ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી સતત ભાષણોનો દોર ચાલશે.

૩. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સદનમાં લંચ બ્રેક નહીં હોય અને પ્રશ્નકાળ પણ નહીં હોય.

૪. આજે રજુ થનારા બિલો પણ આગામી સપ્તાહ માટે ટાળી દેવાયા છે.

૫. સદનમાં બહુમતવાળી સત્તારૂઢ ભાજપને ચર્ચા માટે ૩ કલાક ૩૩ મિનિટનો સમય આપવામાં આવ્યો છે.

૬. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને પ્રસ્તાવ પર પોતાના વિચાર રજુ કરવા માટે ૩૮ મિનિટનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સદનમાં પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગે તેના પર બોલી શકે છે.

૭. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો રજુ કરવા માટે અન્ય વિપક્ષી દળો અન્નામુદ્રકને ૨૯ મિનિટ, તૃણમૂલ કોંગ્રેસને ૨૭ મિનિટ, બીજુ જનતાદળ (બીજેડી)ને ૧૫ મિનિટ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ને ૯ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.

૮. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત ટીડીપીના પ્રસ્તાવ પર પાર્ટીના નેતાના ભાષણથી થશે જયારે તેનું સમાપન પીએમ મોદી કરશે.

૯. સદનમાં ચર્ચા દરમિયાન વિપક્ષ ભાજપ સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. વિપક્ષ આ દરમિયાન સરકારની નીતિઓ અને દેશની હાલની સ્થિતિ પર સરકાર સામે સવાલો ઉઠાવશે. કહેવાય છે કે દેશમાં નિષ્ફળ ગયેલી અસુરક્ષા, મહિલા વિરુદ્ઘ અપરાધો, ભીડ દ્વારા થતી હિંસા અને હત્યા પર વિપક્ષ પોતાના તીખા સવાલો ઉઠાવશે.

૧૦. પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા લગભગ સાત કલાક ચાલશે. સાંજે લગભગ ૬ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવ અને વિપક્ષ તરફથી કરાયેલા પ્રશ્નોના જવાબ આપશે. જયારે કોંગ્રેસ તરફથી પાર્ટીની કમાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સંભાળશે.

૧૧. સદનમાં સભ્યોની કુલ સંખ્યા ૫૩૩ છે. જેમાં એનડીએ પાસે ૩૧૫ છે. જયારે યુપીએ પાસે ૧૪૭. અન્ય પાસે ૭૧ સભ્યો છે. બહુમતનો આંકડો ૨૬૭ છે. (૨૧.૧૧)

(10:43 am IST)