Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

અયોધ્યા જમીન વિવાદ : રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદીના તમામ વ્યવહારો વેબસાઈટ પર મુક્યા

ટ્રસ્ટે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને RSS ને એક રીપોર્ટ પણ આપ્યો હતો: રામ ભક્તોને માહિતી આપવાના હેતુથી સાઇટ પર અંગ્રેજીમાં સમગ્ર વાત જણાવી

અયોધ્યા જમીન વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પર જમીન ખરીદીમાં ગોટાળા કરાયાના આરોપ લાગ્યા હતા. આ મામલે રામમંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરી દેવામાં આવ્યો હતો. ટ્રસ્ટે જમીન ખરીદીમાં ગોટાળા-કૌભાંડના તમામ આક્ષેપો નકાર્યા હતા. આ અંગે ટ્રસ્ટે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને RSS ને એક રીપોર્ટ પણ આપ્યો હતો. હવે ટ્રસ્ટે જમીન ખરીદીના વ્યવહારો અંગે વધુ એક નિર્ણય લીધો છે

   જમીન ખરીદીના કેસમાં કૌભાંડના આરોપોથી ઘેરાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એ તેની વેબસાઇટ પર જમીન ખરીદી સંબંધિત સંપૂર્ણ વિગતો અપલોડ કરી છે. તેનો હેતુ એ છે કે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશના રામ ભક્તો જમીન વિવાદના મુદ્દાની સત્યતા તપાસી શકે છે. ટ્રસ્ટે જમીનના કેસમાં સંબંધિત તમામ પાસાઓ વિશે રામ ભક્તોને માહિતી આપવાના હેતુથી સાઇટ પર અંગ્રેજીમાં સમગ્ર વાત જણાવી દીધી છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ જમીન ખરીદીની વિગતો દર્શાવી છે તેમાં જે વ્યવહાર અંગે વિવાદ થયો છે તેની તમામ માહિતી આપી છે. બાગ બીજૈશી સ્થિત આ 1.2080 હેક્ટર જમીન પ્રતિ ચોરસ ફુટના રૂ.1423 ના દરે ખરીદવામાં આવી છે જે બજાર દર કરતા ઘણી ઓછી કિમત છે. આ જમીન અંગે કરારની પ્રક્રિયા વર્ષ 2011 થી ચાલી રહી હતી.

ટ્રસ્ટ આ જમીનની ખરીદી માટે ઉત્સુક હતું. પરંતુ તે જમીનના માલિકહકને સ્પષ્ટ કરવા માંગતું હતું, કેમ કે આ કરારમાં નવ લોકો સામેલ થયા હતા, જેમાંથી ત્રણ મુસ્લિમ હતા. દરેકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સંમતિ લેવામાં આવી હતી, પછી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ કામમાં સંપૂર્ણ પારદર્શિતા રખાઈ હતી.

 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust)એ સ્પષ્ટ કર્યું કે આ કરારના આ સમયગાળા દરમિયાનના તમામ વ્યવહારો ઓનલાઇન થયા છે. ટ્રસ્ટે આ જમીન માટે 17 કરોડ ચૂકવ્યા છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટે મંદિર અને આશ્રમ સહિત ત્રણ-ચાર પ્લોટની ખરીદી કરી લીધી છે અને ભવિષ્યમાં પણ ખરીદીનું કામ ચાલુ રહેશે. તમામ ખરીદીના રેકોર્ડ ઓનલાઇન મુકવામાં આવ્યા છે.

ટ્રસ્ટ દ્વારા બાગ બીજૈશીની જમીન અંગે 2011થી આજ સુધી કરાયેલા કરારની સંપૂર્ણ વિગતો પણ રજૂ કરવામાં આવી છે.
એમાં કહેવામાં આવ્યું છે કે ક્યારે અને કોની સાથે કરાર કરવામાં આવ્યો હતો અને આખરે ટ્રસ્ટને જમીનનો રજિસ્ટર્ડ કરાર કેવી રીતે મળ્યો.

(6:12 pm IST)