Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અપાચેના બદલે સ્પ્લેન્ડર બાઈક જોઈ ભડકેલો વરરાજા જાન પાછી લઈ ગયો

આઘાત સહન ન થતા દુલ્હને ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી

લખનૌ, તા.૨૦: લખનૌમાં વરરાજાને દહેજમાં કન્યાપક્ષ તરફથી મનગમતું સ્પોર્ટસ બાઈક ન મળવાના કારણે તેણે લગ્નની ના પાડી દીધી હતી અને જાન પાછી લઈ ગયો હતો. દુલ્હનથી આ ઘટનાનો આઘાત સહન ન થતા તેણે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના લખનૌના થાણા માલ વિસ્તારના નારાયણપુર ગામની છે.

અમિત કુમારની ભત્રીજી સંધ્યાના લગ્ન નોબસ્તાના સ્નોહનગરના રહેવાસી ઠાકુર દીનના દીકરા અમર બહાદુર સાથે નક્કી થયા હતા. સંધ્યાના પિતાજી ન હોવાથી તેમના કાકા લગ્ન કરાવી રહ્યા હતા. તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેમણે વરરાજાએ માગણી કરી હતી તે અપાચે સ્પોર્ટસ બાઈકની જગ્યાએ હોન્ડા સ્પ્લેન્ડર બાઈક આપ્યું હતું.

વરરાજાની નજર બાઈક ઉપર પડતાં તેણે ગુસ્સે થઈને દુલ્હન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો કે કન્યાપક્ષના લોકોએ લાંબા સમય સુધી તેને મનાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા. જોકે તેમ છતાં વરરાજા કોઈનું પણ સાંભળ્યા વગર પોતાના સગા-સંબંધીઓ સાથે મંડપમાંથી નીકળી ગયો હતો જેના પછી જાન પાછી જતી રહી હતી.

કન્યાપક્ષે મંડપમાં વરપક્ષ દ્વારા લાવવામાં આવેલ ઘરેણા ઉપર વાંધો ઉઠાવી નારાજગી બતાવી તે બાબતે પણ લાંબા સમય સુધી વાક્યુદ્ધ ચાલ્યું હતું. ત્યાર બાદ મોડી રાત્રે જાન પાછી જતી રહેવાથી દુલ્હનને આઘાત લાગતા તેણે રૃમમાં જઈને ફાંસી ખાઈ લીધી હતી.

સંધ્યાની આત્મહત્યાની ખબર સાંભળ્યા બાદ પરિવારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને શબને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યું હતું અને આગળની કામગીરી હાથ ધરી હતી. પોલીસને કન્યા પક્ષ તરફથી કોઈ લેખિત ચિઠ્ઠી નથી મળી તેથી પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(3:55 pm IST)