Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

શેરબજારમાં કર્ણાટક ઘટનાક્રમની માઠી અસર રહેવાના સાફ એંધાણ

ત્રિમાસક ગાળાના પરિણામ, ક્રૂડની કિંમતની પણ અસર જોવા મળશે : કોલગેટ, જસ્ટ ડાયલ, આઈઓસી અને એસબીઆઈ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરાશે : ઇન્ડો સ્ટાર કેપિટલ આજે શેરબજારમાં એન્ટ્રી કરશે

મુંબઇ,તા. ૨૦ : કર્ણાટકમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા, અમેરિકી બોન્ડ યિલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતોના પરિણામ સ્વરુપે છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સ ૬૮૭ પોઇન્ટનો ઘટાડો થયો હતો પરંતુ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ટોચના છ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. માર્કેટની દિશા નક્કી કરવામાં આ છ પરિબળો ચાવીરુપ ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૩૦૧ પોઇન્ટ ઘટીને ૩૪૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. આવી જ રીતે નિફ્ટી પણ ૧૦૫૯૬ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૮૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર બંનેમાં બે-બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં જુદા જુદા નકારાત્મક પરિબળો વચ્ચે શેરબજારમાં અફડાતફડી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

દલાલસ્ટ્રીટમાં જે પરિબળોની અસર રહેનાર છે તેમાં આગામી ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામનો સમાવેશ થાય છે. કોલગેટ પામોલિન ઇન્ડિયા, જસ્ટ ડાયલ, મહાનગર ગેસ જેવી કંપનીઓના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. તેમના માર્ચના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આંધ્ર બેંક, બાટા ઇન્ડિયા, સિપ્લા, ડો. રેડ્ડી લેબ, આઈઓસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૨૨મી મેના દિવસે તેમના પરિણામ જાહેર કરશે. જ્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, જેટ એરવેઝ, તાતા મોટર્સ દ્વારા ૨૩મી મેના દિવસે તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ગેઇલ, એમઓઆઈએલના પરિણામ ૨૪મી મેના દિવસે જાહેર કરાશે. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આવતીકાલે કારોબારની શરૂઆત થશે ત્યારે કર્ણાટકના ભાજપના નિરાશાજનક દેખાવની અસર પણ રહેશે. બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. આવતીકાલે સોમવારના દિવસે એનબીએફસી ઇન્ડો સ્ટાર કેપિટલ ફાઈનાન્સ શેરબજારમાં પ્રવેશ કરશે. ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે. આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. અન્ય વિવિધ પરિબળો પણ જોવા મળી રહ્યા છે જેમાં ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠક બુધવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આ ઉપરાંત યુરોપમાં પણ મહત્વની બેઠક યોજાનાર છે.

(8:01 pm IST)