Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

છત્તીસગઢ : દાંતેવાડામાં ફરીવાર નક્સલી હુમલો, ૭ જવાન શહીદ

નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી ગોળીબાર કર્યો : નક્સલવાદીઓ હજુ પણ સક્રિય હોવાના અહેવાલથી કેન્દ્રની ચિંતામાં વધારો નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન જારી : માર્ચ બાદ ફરીવખત હુમલો

દાંતેવાડા, તા.૨૦ : છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદીઓના આઈઈડી બ્લાસ્ટમાં સાત જવાન શહીદ થયા છે. નક્સલવાદીઓએ હુમલો કરીને ફરી એકવાર પોતાની શક્તિ દર્શાવી છે અને સાબિતી આપી છે કે, નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થઇ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ ઉપર નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. આજે કરવામાં આવેલા હુમલામાં સશસ્ત્ર દળના પાંચ અને ડિસ્ટ્રીક્ટ ફોર્સના બે જવાન શહીદ થયા હતા. બીજી બાજુ આ હુમલામાં કેટલાક જવાનોને ઇજા પણ થઇ હતી. નક્સલવાદીઓએ પોલીસની ગાડીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ ઘટના દાંતેવાડાના છોલનાર ગામમાં બની હતી. નક્સલવાદી વિરોધી ટોળકીના અધિકારીઓનું કહેવું છે કે, સાત જવાન આમા શહીદ થયા છે. અન્ય એકને ઇજા થઇ છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં ચર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બ્લાસ્ટની તીવ્રતા ખુબ વધારે જોવા મળી હતી. આ પહેલા ૧૩મી માર્ચના દિવસે નક્સલવાદીઓએ છત્તીસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં જોડાયેલા સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કરી દીધો હતો જેમાં નવ જવાન શહીદ થયા હતા. જવાનોને પહેલા આઈઇડી બ્લાસ્ટ કરીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી માર્ચના દિવસે છત્તીસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા હતા અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા હતા. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૧૩મી માર્ચના દિવસે કરવામાં આવેલા હુમલામાં આશરે ૧૦૦ માઓવાદીઓ હોવાની માહિતી મળી હતી. આજે પણ કરાયેલા હુમલામાં માઓવાદીઓની મોટી ટોળકી હોવાના અહેવાલ મળ્યા છે. આજે છત્તીસગઢના દાંતેવાડામાં આ હુમલો કરાયો હતો. આ પહેલા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાનો સીઆરપીએફના ૭૪મી બટાલિયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફ ભોજન માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ અંધાધુંઘ ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓએ ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ ભીષણ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૨૫થી વધુ જવાનો શહીદ થયા હતા. તે પહેલા ૨૫મી મે ૨૦૧૩ના દિવસે સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધારે નક્સલવાદીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કર્યો હતો. આમા ૨૫ લોકોના મોત થઇ ગયા હતા. મોટાભાગના કોંગ્રેસી કાર્યકર હતા. ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડાના વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓએ સૌથી ભીષણ હુમલો કર્યો હતો જેમાં ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા.

(7:53 pm IST)