Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વોટબેંક માટે મમતા કોઇપણ હદ સુધી જવા તૈયાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આક્ષેપ

જનતા સાથે ગુંડાગર્દીનું પરિણામ શું હોય છે તે મમતાને ખબર પડશે : મમતા બેનર્જીના ગઢ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આક્રમક નિવેદન : તુષ્ટીકરણ માટે બીજા દેશોના લોકોને બોલાવીને મમતા બેનર્જી દ્વારા પ્રચાર : ટીએમસીના ગુંડાઓની લૂંટ

બુનિયાદપુર, તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ આજે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સભાઓ કરી હતી. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી વોટબેંક અને તુષ્ટીકરણ માટે બીજા દેશોના લોકોને બોલાવીને પ્રચાર કરાવી રહ્યા છે. સમગ્ર દેશના લોકો કહી રહ્યા છે કે, આ વખતે બંગાળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ વખતે ચોક્કસપણે રાજ્યના લોકોએ ફેરફાર કરવા માટે કમરકસી લીધી છે. મમતા બેનર્જીની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, સ્પીડ બ્રેકર મમતા બેનર્જીને ૨૩મી મેના દિવસે ખબર પડી જશે કે જનતાની સાથે મારામારી કરવા, ગુંડાગર્દી કરવા અને તેમના વિકાસને રોકવાના પરિણામ શું હોય છે. મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી હદ તો એ વખતે કરી રહ્યા છે જ્યારે તેઓ કહે છે કે, પશ્ચિમ બંગાળનું મોડલ સમગ્ર દેશમાં લાગૂ કરવા માંગે છે. જ્યા ટોળાબાજી અને ટેક્સ વગર જીવન પણ ચાલતું નથી. ગરીબોને ગરીબ રાખવા માટે કાવતરા ઘડવામાં આવે છે. ગરીબોની કમાણીને ટીએમસીના નેતાઓ લુંટી કાઢે છે. જ્યાં પૂજા કરવાની બાબત પણ મુશ્કેલ હોય છે. સરઘસ કાઢવા પણ મુશ્કેલ હોય છે. તુષ્ટીકરણ માટે બીજા દેશોના લોકોને બોલાવીને પ્રચાર કરવામાં આવે છે. ભારતમાં ક્યારેય આવું બન્યું નથી કે, દુનિયાના કોઇ દેશના લોકો આવીને ભારતમાં પ્રચાર કરે. પોતાની તિજોરીને ભરવા અને વોટબેંક માટે દીદી કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ પ્રકારના મોડલ દેશ તો દૂર પરંતુ બંગાળ માટે પણ મંજુર નથી. મોદીએ કહ્યું હતું કે, તેઓ મિડિયામાં જોઈ રહ્યા હતા કે કઇરીતે સામાન્ય લોકોએ, માતાઓએ ટીએમસીના ગુંડાઓને બોધપાઠ ભણાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો, મજુરો, વેપારી, કર્મચારીઓ, માતાઓ, બહેનો અને યુવાનો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનને લઇને જે રિપોર્ટ આવી રહ્યા છે જેનાથી સ્પષ્ટ છે કે, સ્પીડ બ્રેકર દીદીની ઉંઘ હરામ થઇ ગઇ છે. મોદીએ મમતા બેનર્જી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ખળભળાટમાં કઇ પ્રકારના જધન્ય અપરાધ થઇ રહ્યા છે. દેશના લોકો જોઈ રહ્યા છે. અમારા કાર્યકરની પુરુલિયામાં હત્યા કરી દેવામાં આવી છે. તેમના પરિવારની સાથે પોતે અને પાર્ટીના કાર્યકરો ઉભા છે. તેઓ તમામ લોકોને ખાતરી આપવા માંગે છે કે, અત્યાચારને લઇને પૂર્ણ ન્યાય કરવામાં આવશે. આવા લોકોને કઠોર સજા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ જનસભામાં ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, મમતા બેનર્જીની લૂંટફાટ અને ભ્રષ્ટાચારના સિલસિલાને હવે લોકો ચલાવવા માંગે છે કે કેમ. સ્પીડ બ્રેકર દીદીને સજા મળવી જોઇએ કે કેમ તેવો પ્રશ્ન પણ કર્યો હતો. બંગાળમાં હવે તમામ લોકો મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. મમતાના કારનામા જોઈને લોકો શરમ અનુભવ કરી રહ્યા છે. મા, માટી અને માનુષના નામ ઉપર વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. બંગાળમાં લોકો હવે મમતા બેનર્જીથી પરેશાન થયેલા છે. મોદીએ આજે બંગાળમાં આક્રમક પ્રચાર કર્યો હતો. બાલુરઘાટમાં જનસભામાં મોદીએ એમ પણ કહ્યું હતું કે, એર સ્ટ્રાઇકના પુરાવા મમતા બેનર્જી દ્વારા પણ માંગવામાં આવી રહ્યા છે. ચીટ ફંડ કૌભાંડના પુરાવા શોધવામાં આવે તો વધારે યોગ્ય રહેશે. ૨૩મી મેના દિવસે પરિણામ આવશે ત્યારે તમામ બાબતો સ્પષ્ટ થઇ જશે.

(7:43 pm IST)