Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

એફબી સોશિયલ સાઈટ લેખિતમાં ગેરંટી આપે કે ચૂંટણીને અસર નહીં થાય

સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા આદેશ : થોડા દિવસ પહેલા ફેસબુકે પણ માફી માગી લીધી છે

નવી દિલ્હી, તા.૨૦ : સંસદીય સમિતિએ સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા આદેશ આપ્યો છે કે, ફેસબુક સહિત તમામ સોશિયલ સાઈટો લેખિતમાં આશ્વાસન આપે કે તેઓ દ્વારા ભારતીય ચૂંટણીને કોઈ પણ રીતે પ્રભાવિત થવા દેવામાં નહીં આવે. આ માહિતી બેઠકમાં બાજર સમિતના એક સભ્ય દ્વારા આપવામાં આવી છે. આરોપ છે કે, ચૂંટણીની રણનીતિ તૈયાર કરનાર લંડનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ૫ કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટા ચોરી કરી છે. ૨૦૧૬માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા ફેસબુકે પણ ડેટા લીક મામલે માફી માગી લીધી છે.

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર વાળી સંસદીય સ્થાઈ સમિતિએ ઈલેકટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના અધિકારીઓને ફેસબુક દ્વારા થયેલા દરેક લેખિત સંવાદ અને તેના જવાબ પણ રજૂ કરવાનું કહ્યું છે. સમિતિએ સભ્યનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે સોશિયલ સાઈટ દ્વારા તેમના પ્લેટફર્મનો દુરૂપયોગ ન થવા દેવા માટે પણ તેઓ જે પગલાં લેવાના છે તેની લેખિતમાં મંજુરી આપે. સમિતિની બેઠક પછી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને ઓનલાઈન સિક્યુરિટી અને પ્રાઈવસી મામલે લોકોની મુંઝવણ અને સૂચનો માગ્યા છે.

કેમ્બ્રિજ એનાલિટિકા પર ૫ કરોડ ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેનો ખોટો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એનાલિટિકાની સેવા લઈ રહી છે. ભાજપે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે રાહુલના ટ્વીટરના ફોલોઅર્સ વધવાનું કરાણ પણ એનાલિટિકા છે. એ પણ સવાલ છે કે કોંગ્રેસ અધ્યક્ષની ફેસબુક પ્રોફાઈલનું એનાલિટિકા સાથે શું લેવા-દેવા. કોંગ્રેસે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે રાહુલ ગાંધીએ એનાલિટિકાની કોઈ સેવા ક્યારેય લીધી નથી.

(12:17 pm IST)