Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ખાલિસ્‍તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ

પંજાબ પોલીસને મળી સફળતા

નવી દિલ્‍હી,તા. ૨૦: ખાલિસ્‍તાન સમર્થક અમૃતપાલ સિંહને પંજાબ પોલીસ દ્વારા કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યો હતો. અમૃતપાલ સિંહ શાહકોટમાં હતો અને આત્‍મસમર્પણિ કરવા માંગતો હતો. પોલીસે શનિવારે (૧૮ માર્ચ) અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અમૃતપાલ સિંહની કારનો પીછો કર્યો હતો, જોકે તે ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર અમૃતપાલ સિંહના નેતૃત્‍વમાં ‘વારિસ પંજાબ દે'ના ૧૧૨ સભ્‍યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્‍યું કે ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો મળી આવ્‍યા છે. પંજાબ પોલીસે ટ્‍વીટ કર્યું કે અમૃતપાલ સિંહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન પોલીસ અને કેન્‍દ્રીય દળો દ્વારા રાજયભરમાં ફલેગ માર્ચ કરવામાં આવી હતી. અટકાયતના સમાચાર વચ્‍ચે પોલીસે ટ્‍વીટ કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

પોલીસે જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધીમાં .૩૧૫ બોરની એક રાઈફલ, ૧૨ બોરની સાત રાઈફલ, એક રિવોલ્‍વર અને ૩૭૩ કારતૂસ સહિત નવ હથિયારો મળી આવ્‍યા છે. પોલીસે રવિવારે જણાવ્‍યું કે ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલામાં પણ પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. ધરપકડને ધ્‍યાનમાં રાખીને પંજાબમાં કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને શનિવાર સાંજથી ઈન્‍ટરનેટ સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યું છે. અધિકારીએ રવિવારે કહ્યું કે પંજાબમાં ઈન્‍ટરનેટ અને એસએમએસ સેવાઓ પર સસ્‍પેન્‍શનનો સમયગાળો સોમવાર બપોર સુધી લંબાવવામાં આવ્‍યો છે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ૨૪ ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્‍ટેશન પર થયેલા હુમલા માટે WPD સંલગ્ન વ્‍યક્‍તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ગયા મહિને, અમૃતપાલ અને તેના સમર્થકો, તલવારો અને બંદૂકો સાથે, બેરિકેડ તોડીને અમૃતસર શહેરની બહારના અજનાલા પોલીસ સ્‍ટેશનમાં પ્રવેશ્‍યા હતા. આ તમામ અમૃતપાલના સહયોગીને મુક્‍ત કરવાની માંગ કરી રહ્યા હતા. આ ઘટનામાં પોલીસ અધિક્ષક સહિત છ પોલીસકર્મી ઘાયલ થયા હતા. દુબઈમાં રહેતા અમૃતપાલ સિંહને ગયા વર્ષે ‘વારિસ પંજાબ દે'ના વડા બનાવવામાં આવ્‍યા હતા, જેની સ્‍થાપના અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુએ કરી હતી. દીપ સિદ્ધુનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું.

(11:02 am IST)