Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાઃ ૨.૫ કરોડ નોકરીઓ જવાનો ખતરો

રિટેલ સેકટરમાં ૧.૧ કરોડ લોકોની નોકરીઓ જવાનું જોખમ ઊભું થયું છે

નવી દિલ્હી, તા.૨૦: કોરોના વાઇરસ રોગચાળો જાહેર કરવામાં આવ્યા પછી વિશ્વભરનાં અર્થતંત્રોમાં ઊથલપાથલ મચી ગઈ છે. કોરોના વાઇરસ બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે અને વિશ્વ એની સામે યુદ્ઘ લડી રહ્યું છે, ત્યારે સંયુકત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં આ બીમારીને લીધે વિશ્વભરમાં ૨.૫ કરોડ લોકોની નોકરીઓ જવાનો ખતરો છે. સંયુકત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને અહેવાલમાં કહ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે સમન્વય સ્થાપિત કરવામાં આવે તો આ સંકટને ઓછું કરી શકાશે.

કોરોના વાઇરસના સંકટને કારણે સૌથી વધુ નોકરીઓ આપતા રિટેલ પર જ સૌથી વધુ પ્રતિકૂળ અસર પડવાની આશંકા છે. રિટેલ સેકટરમાં ૧.૧ કરોડ લોકોની નોકરીઓ જવાનું જોખમ ઊભં થયું છે. આ સિવાય ટુરિઝમ અને હોસ્પિટેલિટી સેકટરમાં ૧૨ લાખ લોકો બેરોજગાર થવાની શકયતા છે. ઈકોમર્સ સેકટરમાં ૨૦ લાખ નોકરીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ સિવાય રિયલ સેકટરની કમર જ તૂટી જશે અને ૩૫ ટકા નોકરીઓ જવાની સંભાવના છે.

આંતરરાષ્ટ્રીય લેબર સંસ્થાએ તેના અહેવાલમાં covid-19 and world of eork : Impacts and responses માં કહેવામાં આવ્યું હતું કે બેરોજગારીને ઓછી કરવા માટે તેજીથી પ્રયાસ કરવાની જરૂર છે. ILOએ કહ્યું હતું કે આના માટે ત્રણ પગલાં લેવાં જોઈએ, જે આ પ્રકારે છે- વર્કપ્લેસ પર કર્મચારીઓને બચાવવા, અર્થવ્યવસ્થા અને રોજગારના સંરક્ષણ અને જોબ અને ઇનકમને સપોર્ટ.

ILOએ વિશ્વભરની સરકારો અને ઓદ્યૌગિક ગૃહોને લોકોની નોકરીઓને બચાવવાની અપીલ કરી છે. ILOએ કહ્યું છે કે શોર્ટ ટાઇમ વર્ક, પેડ લીવ અને અન્ય સબસિડી દ્વારા લોકોની નોકરીઓ બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ.

૨૦૦૮થી પણ વધુ ભીષણ મંદીની આશંકા

આંતરરાષ્ટ્રીય લેબર સંસ્થાના જણાવ્યા મુજબ આ સ્થિતિમાં વિશ્વભરમાં છવાયેલી મંદીથી પણ કપરી પરિસ્થિતિ થશે. ત્યારે ૨.૨ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વખતૈ એ આંકડો અઢી કરોડે પહોંચવાની આશંકા છે.

(10:25 am IST)