Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચોમાસુ : અલ નિનો ફરી વિલનગીરી કરશે

ઓસ્ટ્રેલિયન હવામાન ખાતાનો ધડાકો : ર૦૧૯માં અલ નિનોની શકયતા ૭૦ ટકા થઇ ગઇ છે : સામાન્ય કરતા ત્રણ ગણી

નવી દિલ્હી, તા. ર૦ : ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યકત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ મંગળવારે અલ નિનોના આઉલૂકને 'એલર્ટ' મોડમાં મૂકયું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક કલાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શકયતામાં વધારો દર્શાવે છે.

અલ નિનો પેસેફીક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલુ છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો ૭૦ ટકા હિસ્સો આ ગાળમાં આવે છે.

બ્યૂરોએ મંગળવારે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, 'ર૦૧૯'માં અલ નિનોની શકયતા વધીને લગભગ ૭૦ ટકા થઇ છે, જે સામાન્ય કરતા લગભગ ત્રણ છે. બ્યૂરોએ કહ્યું હતું કે, આઠમાંથી એક સિવાયના તમામ કલાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતા ઉંચુ રહેવાની આગાહી કરાઇ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર(SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતા ઉંચુ રહેવાની ધારણા છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શકયતા પ૦ ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ(IMD) એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલગ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઇ વધવાનો અંદાજ છે. સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભીક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ાલુ વર્ષે સામાન્ય વરસાદની શકયતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળુ પડવાનો અંદાજ છે.

(11:50 am IST)