Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

તીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૪૦૪ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૫ની સપાટીએ રહ્યો : શેરબજારમાં છેલ્લા નવ સત્રથી ચાલી રહેલી મંદી ઉપર અંતે બ્રેક : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને લઇ વાતચીત શરૂ થતાં શેરબજારમાં આશા જાગી

મુંબઈ, તા. ૨૦ : શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સતત નવ સત્ર સુધી ઘટાડો રહ્યા બાદ આના પર બ્રેક મુકાઈ છે. બીએસઈની ૩૧ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૪૦૪ પોઇન્ટની તેજી સાથે ૩૫૭૫૬ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૫ની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. સતત નવ સેશનની મંદી વચ્ચે સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા જોરદાર લેવાલી તથા મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે તેજી રહી છે. ફાઈનાન્સિયલ સર્વિસના ચીફ માર્કેટ અધિકારી આનંદ જેમ્સે કહ્યું હતું કે, નિફ્ટી માટે ૧૦૬૦૦ કરોડનો આંકડો ખુબ મહત્વ રાખે  છે. બજારને ચીન-અમેરિકાની વચ્ચે વાતચીતમાં પ્રગતિનો પણ લાભ મળી રહ્યો છે. શેરબજાર આજે સવારે બમ્પર તેજીની સાથે ખુલ્યા બાદ તેમાં અફડાતફડી રહી હતી. જો કે, સવારથી જ તેજીનું મોજુ રહ્યું હતું. સેંસેક્સ ૨૧૨ પોઇન્ટના ઉછાળા સાથે ૩૫૬૬૫ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૫૧ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦૬૫૫ની સપાટીએ ખુલ્યો હતો. દિવસભરના કારોબારમાં સેંસેક્સ ૩૫૭૯૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે ૩૫૪૬૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે દિવસભરના કારોબારમાં સેંસેક્સ ઉતારચઢાવની સ્થિતિમાં રહ્યા બાદ તેમાં અંતે તેજી રહી હતી. બીએસઈની પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, મંગળવારના દિવસે ડીઆઈઆઈ દ્વારા ૧૧૬૩.૮૫ કરોડ રૂપિયાની લેવાલી જામી હતી. વિદેશી સંસ્થાગત મૂડીરોકાણકારો દ્વારા ૮૧૩.૭૬ કરોડ રૂપિયાની લેવાલી હાથ ધરવામાં આવી હતી. વેદાંતા લિમિટેડના શેરમાં સૌથી વધુ ૪.૬૭ ટકા, તાતા સ્ટીલમાં ૪.૧૩ ટકા, ઓએનજીસીમાં ૩.૬૩ ટકા, એનટીપીસીમાં ૨.૮૫ ટકા અને યશ બેંકના શેરમાં તેજી જામી હતી. હિરો મોટો કોર્પના શેરમાં ૦.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. એનએસઈમાં ૪૪ કંપનીઓના શેરમાં આજે તેજી રહી હતી. ૬ કંપનીઓના શેર લાલ નિશાન ઉપર રહ્યા હતા. ઇન્ડિયા બુલ હાઉસિંગના શેરમાં સૌથી વધુ ૬.૧૪ ટકાનો, તાતા સ્ટીલમાં ૪.૮૩ ટકા, વેદાંતા લિમિટેડમાં ૪.૬૪ ટકા અને અદાણી પોર્ટ્સમાં ૪.૪૩ ટકાનો ઉછાળો રહ્યો હતો.હિન્ડાલ્કોના શેરમાં૬.૯૪ ટકાનો ઘટાડો રહ્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં ગઇકાલે પણ મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ વધુ ૧૪૬ પોઇન્ટ ઘટીને ૩૫૩૫૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી.  માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે. થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વની રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી.

તેજીની સાથે સાથે.......

¨    શેરબજારમાં છેલ્લા નવ સત્રથી ચાલતી મંદી ઉપર બ્રેક

¨    બીએસઈની ૩૧ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૪૦૪ પોઇન્ટ ઉછળીને ૩૫૭૫૬ની સપાટીએ બંધ

¨    નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૫ની સપાટીએ

¨    ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં પ્રગતિથી શેરબજારમાં રાહત

¨    મંગળવારના દિવસે ડીઆઈઆઈ દ્વારા ૧૧૬૩.૮૫ કરોડની લેવાલી રહી

¨    વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ૮૧૩.૭૬ કરોડની લેવાલી

¨    વેદાંતા લિમિટેડના શેરમાં સૌથી વધુ ૪.૬૭ ટકા, તાતા સ્ટીલમાં ૪.૧૩, ઓએનજીસીમાં ૩.૬૩ ટકાનો ઉછાળો

¨    એનએસઈ પર ૪૪ કંપનીઓના શેર તેજીમાં રહ્યા અને છ કંપનીઓના શેરમાં મંદી જોવા મળી

¨        ઇન્ડિયા બુલ હાઉસિંગના શેરમાં સૌથી વધુ ૬.૬૪ ટકાનો ઉછાળો

 

(7:44 pm IST)