Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સ્‍કોટલેન્‍ડમાં વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ

અરે વાહ....હવે એક્‍સ-રેથી ખબર પડી જશે કોરોના છે કે નહીં

પરીક્ષણ ૯૮ ટકા સુધી સચોટ મળ્‍યું: વાયરસની ઉપસ્‍થિતિ જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (એઆઈ)નો ઉપયોગ

નવી દિલ્‍હી, તા.૨૦: સ્‍કોટલેન્‍ડમાં વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને લઈ નવો સફળ પ્રયોગ કર્યો છે. જે હેઠળ હવેથી એક્‍સરેનો ઉપયોગ કરીને જાણી શકાશે કે, દર્દીને કોરોના છે કે નહીં. એટલે સુધી કે વૈજ્ઞાનિકોએ તેને ૯૮ ટકા સુધી સચોટ માન્‍યું છે. પરીક્ષણ કોઈ વ્‍યક્‍તિની અંદર વાયરસની ઉપસ્‍થિતિ જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (એઆઈ)નો ઉપયોગ કરે છે.
સંશોધકોએ એમ પણ જણાવ્‍યું કે, તે આરટી-પીસીઆર (RT-PCR) પરીક્ષણ કરતાં તેજ હશે અને ૫થી ૧૦ મિનિટમાં તેનું પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છે કે, આરટી-પીસીઆરનો રિપોર્ટ આવવામાં એક કલાક કરતાં વધારે સમય લાગી જાય છે. સંશોધકોએ જણાવ્‍યું કે, લાંબા સમયથી એક ત્‍વરિત અને વિશ્વસનીય ઉપકરણની આવશ્‍યકતા હતી જે કોવિડ-૧૯ની ઓળખ કરી શકે. એટલું જ નહીં એક્‍સરેના માધ્‍યમથી ઓમિક્રોન વેરિએન્‍ટ પણ ઝડપથી ઓળખી શકાશે. યુડબલ્‍યુ એસના સંશોધકોના કહેવા પ્રમાણે નવી તકનીક સ્‍કેનની સરખામણીએ ૩,૦૦૦ કરતાં વધારે છબિઓના ડેટાબેઝ માટે એક્‍સરે તકનીકનો ઉપયોગ કરે છે જે કોરોનાના દર્દીઓ, સ્‍વસ્‍થ વ્‍યક્‍તિઓ અને વાયરલ ન્‍યૂમોનિયા સાથે સંબંધિત છે.
આ તકનીકમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (એઆઈ) પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે જે દૃશ્‍ય આકારણીનું વિશ્‍લેષણ કરવા અને નિદાન કરવા માટે એક અલ્‍ગોરિધમનો ઉપયોગ કરે છે. યુડબલ્‍યુએસના વૈજ્ઞાનિકોએ જણાવ્‍યું કે, એક વ્‍યાપક પરીક્ષણના તબક્કા દરમિયાન આ તકનીક ૯૮ ટકા કરતાં પણ વધારે સચોટ સાબિત થઈ.
પ્રોફેસર રમજાને જણાવ્‍યું કે, અનેક દેશ સીમિત નિદાન ઉપકરણોના કારણે મોટી સંખ્‍યામાં કોવિડ પરીક્ષણ કરવા અસમર્થ છે. પરંતુ આ સંશોધનના કારણે વાયરસને ઝડપથી ઓળખી શકાશે. વાયરસના ગંભીર કેસના નિદાન દરમિયાન તે મહત્‍વપૂર્ણ અને સંભવિતરૂપે જીવનરક્ષક સાબિત થઈ શકે છે. જોકે તેમણે સ્‍વીકાર્યું હતું કે, સંક્રમણના પ્રારંભિક તબક્કા દરમિયાન એક્‍સરેમાં કોવિડના લક્ષણ નથી દેખાતા માટે તે પીસીઆર પરીક્ષણોનું સંપૂર્ણ સ્‍થાન ન લઈ શકે.

 

(3:30 pm IST)