Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બેંગલુરુના આકાશમાં બે વિમાન ટકરાતાં રહી ગયા : યાત્રી બચ્યા

રડાર કંટ્રોલરે ગંભીર ભૂલ પકડી પાડી : રડાર કંટ્રોલરના ધ્યાનમાં ગંભીર ચૂક સામે આવતાં તેણે બંને ફ્લાઈટના પાયલટોને આ અંગે જાણકારી આપતા પાયલટ્સે જુદા જુદા વળાંક લીધા

બેંગલુરુ, તા.૧૯ : ૭ જાન્યુઆરીના રોજ બેંગલુરુના આકાશમાં બે પ્લેન વચ્ચો ટક્કર થતાં માંડ-માંડ રહી ગઈ હતી. બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પરથી ઉડાન ભર્યાં બાદ ઈન્ડિગોના બે પ્લેન હવામાં એક જ દિશામાં પાસે-પાસે ઉડી રહ્યા હતા. જો કે રડાર કંટ્રોલર દ્વારા આ ગંભીર ભૂલને પકડી પાડવામાં આવી હતી. અને તેને કારણે બંને ફ્લાઈટમાં સવાર અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા.

રડાર કંટ્રોલરના ધ્યાનમાં ગંભીર ચૂક સામે આવતાં તેણે બંને ફ્લાઈટના પાયલટોને આ અંગે જાણકારી આપી હતી. જે બાદ ટક્કર ટાળવા માટે એક પાયલટ દ્વારા તરત જ ડાબી બાજુ તો અન્ય પાયલટ દ્વારા જમણી બાજુ વળાંક લઈ લેવામાં આવ્યો હતો. જો કે, આ ગંભીર ભૂલને દબાવવા અને સજાથી બચવા માટે કેમ્પેગૌડા એરપોર્ટના અધિકારીઓએ તેની જાણ ડીજીસીએને કરી ન હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ચીફ અરુણ કુમારે આ ભૂલની ગંભીર નોંધ લીધી છે.

આ મામલે તેઓએ તપાસના આદેશ પણ આપી દીધા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અરુણ કુમારે કહ્યું હતું કે, આ મામલે જે પણ કોઈ જવાબદાર હશે તેની સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. બેંગલુરુ એરપોર્ટ પરની બે એરસ્ટ્રીપ વચ્ચેનું અંતર એકસાથે બે પ્લેનોના ટેકઓફ કે લેન્ડિંગ કરાવવા માટે પૂરતું નથી. અને સુરક્ષાના કારણોસર ફ્લાઈટની અવરજવર દરમિયાન ચોક્કસ સમયનો તફાવત રાખવામાં આવે છે. ડીજીસીએના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, બેંગલુરુ એરપોર્ટ પર ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ, બે ઈન્ડિગો ફ્લાઈટસ- ૬ઈ-૪૫૫ કોલકાતા તરફ જઈ રહી હતી અને ૬ઈ-૨૪૬ ભુવનેશ્વર તરફ જઈ રહી હતી. તે દિવસની સવારે બેંગલુરુ એરપોર્ટના ઉત્તર રન-વેનો ઉપયોગ ટેક-ઓફ માટે અને દક્ષિણ રન-વેનો  ઉપયોગ લેન્ડિંગ માટે થતો હતો. પણ બાદમાં શિફ્ટ ઈન્ચાર્જ દ્વારા ઉત્તર રન-વેનો ઉપયોહ લેન્ડિંગ અને ટેક-ઓફ એમ બંને માટે કરવાનો નિર્ણય કર્યો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ સમયે નોર્થ રન-વેના ઉપયોગ સમયે સાઉથ રન-વે બંધ કરી દેવામાં આવતો હતો. જો કે, સાઉથ ટાવરના કંટ્રોલરને આ નિર્ણય અંગે જાણ કરવામાં આવી ન હતી. અને જેને કારણે સાઉથ ટાવરના કંટ્રોલર દ્વારા ૬ઈ-૪૫૫ ફ્લાઈટને ટેક ઓફ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી અને આ જ સમયે સંકલનના અભાવે નોર્થ ટાવર કંટ્રોલર દ્વારા ૬ઈ-૨૪૬ ફ્લાઈટને પણ ટેક ઓફ માટે પરમિશન આપી દેવાઈ હતી. અને ટેક ઓફ બાદ બંને પ્લેન એકબીજા તરફ આગળ વધી રહ્યા હતા. અને હવામાં બંને પ્લેન વચ્ચે ટક્કર થાય તે પહેલાં જ રડાર કંટ્રોલર દ્વારા ડાયવર્ઝન આપીને ટક્કર ટાળી દેવામાં આવી હતી. ચોંકાવનારી રીતે આ ગંભીર ઘટનાની જાણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પોતાના રિપોર્ટ કે લોગબુકમાં નોંધવામાં આવી ન હતી. બેંગલુરુ એરપોર્ટની સેફ્ટી ટીમ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને પ્લેન એક જ દિશામાં આગળ વધી રહ્યા હતા, અને ૩૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી તેમને ખતરાનો અંદાજો આવ્યો ન હતો. જો કે બેંગલુરુ એરપોર્ટ પરના રડાર કંટ્રોલર દ્વારા આ ગંભીર ચૂક ધ્યાને આવતાં બંને પાયલટને એલર્ટ કરી દીધા હતા. કોલકાતા જઈ રહેલી ફ્લાઈટે ડાબી બાજુનો વળાંક લીધો હતો અને અન્ય ફ્લાઈટ જમણી બાજુ વળી ગઈ હતી. જો કે, આ ગંભીર ઘટના અંગે બેંગલુરુ એટીસી અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ નોર્થ અને સાઉથ રન-વેના સીનિયર વચ્ચે સંકલનના અભાવે આ ગંભીર ચૂક સર્જાઈ હતી. જો કે, બેંગલુરુ એરપોર્ટ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું, તેઓએ કહ્યું કે, આ મુદ્દો એટીસીનો છે.

(12:00 am IST)