Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવવાના મુદ્દે ભાજપની સરકારનો ઉધડો લીધો

નવી દિલ્‍હી : વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવવાના મુદ્દે ભાજપની સરકારો ઉધડો લીધો છે.

તેમણે કહ્યું, 'અમારી અપેક્ષા હતી કે સરકાર કાયદો બનાવશે. સરકારે કાયદો બનાવવો જોઈએ એવો અમે આગ્રહ પણ કરેલો. જોકે, સરકારના આ કાર્યકાળમાં મંદિર બને તેવી શક્યતા નથી. જેથી અમે સંતો સક્ષમ અન્ય વિકલ્પ મૂકીશું.

આગામી પ્રથમ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ધર્મ સંસદમાં અમે નક્કી કરીશું કે અમારે શું કરવું જોઈએ?

કુંભ મેળામાં મીડિયા સાથેની વાતચીતમાં આલોક કુમારે જણાવ્યું હતું કે હિંદુત્વ અને રામ મંદિર નિર્માણ અંગે જે રાજકીય પક્ષ સકારાત્મક વાત કરશે અમે તેમને સમર્થન કરી શકીએ છીએ. શું વિશ્વ હિંદુ પરિષદ કોંગ્રેસને સમર્થન આપી શકે છે? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે વિકલ્પ તો અનેક હોઈ શકે છે પહેલાં કોંગ્રેસ અમારા માટે દરવાજો તો ખોલે.

કોંગ્રેસે પોતાના દરવાજા બંધ કરી રાખ્યા છે.કોંગ્રેસ સાથે જોડવા માટે તેમાં જોડાવું પડે છે. જો કોંગ્રેસ અમારા માટે તેમનો દરવાજો ખોલે અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરના મુદ્દાન સમાવેશ કરે તો અમે વિચારીશુ.

જોકે, આલોક કુમારે કોંગ્રેસ પર રામ મંદિર મુદ્દાને કોર્ટમાં અટકાવી રાખવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ (જે વકીલ પણ છે) તેમણે આ કેસ અટવાયેલો રહે તેના માટે ભરપુર પ્રયાસો કર્યા હતા.

તેમણે સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ પર દબાણ સર્જવાનો પણ પ્રયાસ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપક મીશ્રાની વિરુદ્ધ મહાભિયોગની નોટિસ પણ આપવામાં આવી હતી.

ચૂંટણીમાં વિશ્વ હિંદુ પરિષદ ભાજપને સમર્થન આપશે કે નહીં? આ સવાલના જવાબમાં આલોક કુમારે જણાવ્યું કે એ નિર્ણય સંતો દ્વારા લેવામાં આવશે. અમે સંતો સમક્ષ સમગ્ર પરિસ્થિતિ રજૂ કરીશું. વર્તમાન સમયમાં હિંદુત્વ અને રામ મંદિર અંગે ભાજપ સીવાય કોઈ પક્ષ વિચાર કરી રહ્યો હોય તેવું દર્શાતું નથી.

જો ફરી ભાજપની સરકાર બને તો મંદિરના નિર્માણ માટે દબાણ કરાશે? આ સવાલના જવાબમાં આલોક કુમારે જણાવ્યું હતું કે અમે આગ્રહ કરીશું. દેશની જનતા ઇચ્છે છે કે રામ મંદિર બને. અમને અપેક્ષા છે કે વર્ષ 2025 સુધી રામ મંદિર ચોક્કસપણે બની જશે.

(1:28 pm IST)