Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

લોકસભામાં પ્રદૂષણ પર ઉગ્ર ચર્ચા થઇ : એકબીજા ઉપર તીવ્ર પ્રહારો

લોકસભા અને રાજ્યસભામાં જુદા જુદા વિષયોને લઇને હોબાળો : લોકસભામાં ચર્ચાની શરૂઆત કરીને પ્રદૂષણ મુદ્દે સરકાર પર કોંગીના મનિષ તિવારીના આક્ષેપો : અરવિંદ કેજરીવાલ ઉપર ભાજપના પ્રવેશ વર્માના વળતા પ્રહારો

નવીદિલ્હી, તા. ૧૯ : સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે આજે જુદા જુદા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા. જેએનયુ અને કાશ્મીર મુદ્દા ઉપર ભારે ધાંધલ ધમાલ થઇ હતી જેના લીધે કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી ત્યારબાદ જુદા જુદા અન્ય મુદ્દાઓ પણ છવાયેલા રહ્યા હતા. લોકસભામાં પ્રદૂષણના મુદ્દા ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા થઇ હતી. કેટલાક સભ્યો ચહેરા ઉપર માસ્ક પહેરીને પહોંચ્યા હતા. લોકસભામાં પ્રદૂષણ પર ચર્ચા કરતી વેળા તૃણમુલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષ દાસ્તીદાર લોકસભામાં પ્રદૂષણ ઉપર ચર્ચા વેળા આક્રમક દેખાયા હતા. જો કે, કેટલાક લોકોએ ટિપ્પણી કર્યા બાદ તેઓએ માસ્ક હટાવી દીધા હતા. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર છે. દિલ્હીમાં પાણી પણ સૌથી પ્રદૂષિત છે. દિલ્હી સરકાર પ્રદૂષણ માટે પરાળને જવાબદાર ગણે છે. જ્યારે સૌથી મોટુ કારણ વાહનો છે અને ત્યારબાદ કારખાનાઓ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, પ્રદૂષણના પરિણામ સ્વરુપે હિમાલય પર ગ્લેશિયલ ખતમ થઇ રહ્યા છે. હિમનદીઓમાં સ્તર સતત ઘટી રહ્યુંછે.

                            પ્રદૂષણના મુદ્દાને લઇને કોર્ટમાં જવાની શા માટે જરૂર પડી રહી છે તે બાબત સમજાતી નથી. પ્રદૂષણની સમસ્યા પર કોર્ટને કેમ દરમિયાનગીરી કરવી પડી રહી છે. મનિષ તિવારીએ કહ્યું હતું કે, દર વર્ષે પ્રદૂષણનું સ્તર વધી જવાની બાબત ખુબ જ કમનસીબ છે. સોનિય ગાંધી અને રાહુલ ગાંધીના એસપીસી કવરને દૂર કરવાને લઇને લોકસભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કાશ્મીર અને જેએનયુના મુદ્દા ઉપર રાજ્યસભામાં હોબાળો થયો હતો. શિવસેનાના અરવિંદ સાવંતે કહ્યું હતું કે, મુંબઈમાં એક જ રાત્રિ ગાળામાં ૨૭૦૦ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતા અને અમે પ્રદૂષણની ચર્ચા કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટના સંદર્ભમાં વિચારી રહ્યા નથી. બેટરીવાળી ગાડીઓ આવી રહી છે. આને લઇને કોઇપણ યોજના તૈયાર થઇ રહી નથી. મુંબઈ જેવા શહેરને ૧.૫-૨ કરોડ લોકો રહે છે. તેમના ઓક્સિજન માટે સંજય ગાંધી ગાર્ડન અને આરેના વન્ય વિસ્તારો જ એક માત્ર વિકલ્પ તરીકે હતા. વૃક્ષો કાપવાની બાબત કોઇપણરીતે યોગ્ય નથી. દિલ્હી અને એનસીઆરમાં દર વર્ષે ઠંડીની સિઝનમાં પ્રદૂષણને લઇને ચર્ચા થાય છે પરંતુ ઉકેલ કરતા ક્રેડિટ લેવાને લઇને વધારે હોબાળો રહે છે. લોકસભામાં પ્રદૂષણ પર ચર્ચાની શરૂઆત કરતા મનિષ તિવારીએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

                       ચર્ચા દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને બીજેડી દ્વારા પ્રદૂષણ માટે પરાળીને જવાબદાર ઠેરવવાનો ઇન્કાર કર્યો હતો. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદૂષણ માટે આમ આદમીની સરકાર જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદૂષણ વર્ષમાં ૨૦૦ દિવસ રહે છે પરંતુ પરાળી ૪૦ દિવસ રહે છે.  દિલ્હી સરકાર ૬૦૦ કરોડની એડ આપીને હરિયાણા, પંજાબ અને યુપી સરકારને જવાબદાર ઠેરવે છે. વર્માએ કહ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરો વચ્ચે અંતર વધારવાની બાબત કોઇના હિતમાં નથી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દાવ રમી રહ્યા છે. પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, એક સમયમાં અરવિંદ કેજરીવાલ એકલા ખાંસી ખાતા હતા. આજે સમગ્ર દિલ્હી ખાંસી ખાઈ રહી છે. દિલ્હીમાં એક કરોડ ૧૦ લાખ વાહનો છે. ગાડીઓ વધી ગઈ છે કારણ કે દિલ્હીમાં બસો વધારવામાં આવી નથી. ટીએમસીના સાંસદ કાકોલી ઘોષે કહ્યું હતું કે, દુનિયાના સૌથી પ્રદૂષિત ૧૦ શહેરોમાં ભારતના નવ શહેરો છે.

(7:58 pm IST)