Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૯ લાખ કરોડના ભંડોળ પર અંકુશ મેળવવા માટે પ્રયાસ

ચિદમ્બરમનો મોદી સરકાર ઉપર આરોપ : રિઝર્વ બેંકની આજે મહત્વની બોર્ડ મિટિંગ યોજાય તે પહેલા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ દ્વારા કેન્દ્ર સરકાર ઉપર આરોપ

નવી દિલ્હી, તા. ૧૮ : સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આવતીકાલે યોજાનારી રિઝર્વ બેંકની બોર્ડ બેઠક પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આજે આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર નવ લાખ કરોડ રૂપિયાના ભંડોળ ઉપર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવા બેંકને અંકુશમાં લઇ લેવા માટે પ્રતિબદ્ધ છે. શ્રેણીબદ્ધ ટ્વિટ મારફતે પૂર્વ નાણામંત્રીએ દાવો કર્યો હતો કે, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખેંચતાણની સ્થિતિમાં છે. આના માટેના કારણો સ્પષ્ટપણે સપાટી ઉપર આવી ચુક્યા છે. આવતીકાલે સોમવારના દિવસે રિઝર્વ બેંકની બોર્ડ બેઠક યોજાનાર છે જેમાં તમામ સભ્યો ઉપસ્થિત રહેનાર છે. ચિદમ્બરમે માઈક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર કહ્યું છે કે, સરકાર નવ લાખ કરોડ રૂપિયાના ભંડોળ ઉપર અંકુશ મેળવી લેવા આરબીઆઈ ઉપર પ્રભુત્વ જમાવવા માટે ઇચ્છુક છે. આજ કારણસર બિનજરૂરી આદેશો કરવામાં આવી રહ્યા છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, વિશ્વમાં કોઇપણ જગ્યાએ રિઝર્વ બેંક કોઇ બોર્ડ દ્વારા મેનેજ થતી કંપની નથી. આવતીકાલે યોજનારી બેઠક ઉપર કોર્પોરેટ જગતની નજર પણ કેન્દ્રીત થઇ ગઇ છે. ચિદમ્બરમના કહેવા મુજબ આરબીઆઈ ૯.૫૯ લાખ કરોડ રૂપિયોનું જંગી ભંડોળ ધરાવે છે. અહેવાલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો રિઝર્વ બેંકના ફંડના ત્રીજા હિસ્સા ઉપર અંકુશ મેળવવાની તેની ખતરનાક યોજના રહેલી છે. સરકારે નવમી નવેમ્બરના દિવસે કહ્યું હતું કે, મૂડી ભંડોળના યોગ્ય કદના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઇ રહી છે. બીજી બાજુ આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગના કહેવા મુજબ સરકારને ફંડની કોઇ જરૂર દેખાઈ રહી નથી. ૩.૬ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા આરબીઆઈને કહેવા માટેની કોઇપણ દરખાસ્ત નથી. આ પ્રકારના અહેવાલ માત્ર અટકળો તરીકેના રહેલા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં સરકારની એફડીનો આંકડો ૫.૧ ટકાનો હતો. ૨૦૧૪-૧૫થી સરકાર તેને ઉલ્લેખનીયરીતે નીચે લાવવામાં સફળ રહી છે. ૨૦૧૮-૧૯માં એફડીનો આંકડો ઘટાડીને ૩.૩ ટકા સુધી નીચે લાવવામાં આવનાર છે.

(12:00 am IST)