Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

બદ્રીનાથ મંદિરના કપાટ ૨૦મી નવેમ્બરે બંધ થશે

ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ ફરી મંદિર ખુલશે : બદ્રીનાથની પહાડીઓ ઉપર ભારે હિમવર્ષાના પરિણામે વિજયાદશમીના પ્રસંગે પૂજામાં ઓછા શ્રદ્ધાળુઓ હાજર

દહેરાદૂન, તા. ૧૯ : ઉત્તરાખંડના હિમાલિયન ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ મંદિરના  પ્રવેશ દ્વાર આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે બંધ કરી દેવામાં આવશે. ૨૦મી નવેમ્બર બાદ છ મહિના સુધી મંદિરના પ્રવેશદ્વાર બંધ રાખવામાં આવશે અને ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ ફરીથી એપ્રિલ-મે મહિનામાં મંદિરના પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કારોબારી અધિકારી બીડી સિંહે કહ્યું છે કે, ભગવાન બદ્રીનાથના ધામના કપાટ ૨૦મી નવેમ્બરના દિવસે સવારે ૩.૨૧ વાગે બંધ કરી દેવામાં આવશે. મંદિર બંધ કરવાના મુર્હૂત વિજ્યાદશમીના પ્રસંગે મંદિર સંકુલમાં વિશેષ પુજા અર્ચના કરવામાં આવ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ગાળા દરમિયાન મંદિરના મુખ્ય પુજારી રાવલ ઇશ્વરી પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથના પહાડીઓના શિખર ઉપર બરફ પડવાના પરિણામ સ્વરુપે ઠંડી વધી જતાં વિજયાદશમીના પર્વ ઉપર મંદિરમાં પૂજા થઇ ત્યારે ૨૦૦૦થી ૩૦૦૦ શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા. શિયાળાની સિઝનમાં ભારે હિમવર્ષા અને ઠંડીના પરિણામ સ્વરુપે ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામ સહિત ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં ચારેધામના કપાટ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે બંધ કરી દેવામાં આવે છે. છ માસના શિયાળુ સત્ર બાદ ફરીવાર એપ્રિલ-મે મહિનામાં ખોલવામાં આવે છે. ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામ ઉપરાંત રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામ અને ઉત્તર કાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના કપાટ બંધ કરવાની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે. ગંગોત્રી મંદિરના કપાટ અથવા તો પ્રવેશ દ્વારને દિવાળીના આગલા દિવસે અન્નકુટ પર્વ પર બંધ કરી દેવામાં આવશે જ્યારે કેદારનાથ અને યમનોત્રીના પ્રવેશદ્વાર ભાઈબીજના દિવસે બંધ કરવામાં આવશે. ઉત્તરાખંડના આ ધાર્મિક સ્થળો ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ૨૦મી નવેમ્બરના દિવસે બદ્રીનાથના દ્વાર બંધ કરવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કારોબારી અધિકારી બીડી સિંહે કહ્યું છે કે, બદ્રીનાથના પ્રવેશ દ્વારને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. મંદિર બંધ કરવાના મુર્હૂતના પ્રસંગ પર પૂજા અર્ચના અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચારધામની સાથે સાથે

*    બદ્રીનાથ મંદિરના કપાટ આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે બંધ કરાશે

*    મંદિરના કપાટને બંધ કરાયા બાદ એપ્રિલ-મે મહિનામાં ફરીવાર ખુલી જશે

*    બદ્રીનાથના ધામના પ્રવેશદ્વાર ૨૦મી નવેમ્બરે વહેલી પરોઢે ૩.૨૦ વાગે બંધ કરાશે

*    બદ્રીનાથની પહાડીઓ ઉપર હિમવર્ષાના લીધે ઓછા શ્રદ્ધાળુઓ પહોચ્યા

*    ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામ અને રુદ્રપ્રયાગમાં કેદારનાથ ધામ તથા ઉત્તર કાશી જિલ્લામાં ગંગોત્રી અને યમનોત્રીના પ્રવેશદ્વારને બંધ કરવાની તારીખ પણ જાહેર થઇ

*    ગંગોત્રી મંદિરના કપાટ દિવાળીના આગલા દિવસે અન્નકુટ પર્વ પર બંધ થશે

*    કેદારનાથ અને યમનોત્રીના કપાટ ભાઈદૂજના દિવસે બંધ થશે

(7:34 pm IST)