Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ટાટા જુથને જેટ અેરવેઝની તમામ અેસેટ્સ ખરીદવામાં અને વર્તમાન બિઝનેસમાં નોંધપાત્ર વિસ્‍તરણની ઇચ્‍છાઃ આંશિક ભાગીદારીનો પ્રારંભિક પ્રસ્‍તાવ ફગાવી દીધો

મુંબઈ:ટાટા જૂથે પ્રમોટર ગોયલ ફેમિલીની એક્ઝિટ સહિત જેટ એરવેઝ પર સંપૂર્ણ નિયંત્રણની માંગણી કરી છે. ગ્રૂપે એરલાઇન પર સંયુક્ત અંકુશ અથવા આંશિક ભાગીદારીના પ્રારંભિક પ્રસ્તાવનો ઇનકાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા જૂથે જેટ એરવેઝના પ્રતિનિધિઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્રૂપ સંપૂર્ણ કંપનીને ખરીદવા માંગે છે અથવા એરક્રાફ્ટ સહિતની એસેટ્સ અને અન્ય એવિએશન સંબંધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્વિઝિશનમાં રસ ધરાવે છે.

જોકે, એરલાઇન પર ગોયલ ફેમિલીનો અંકુશ ચાલુ રહેતો હોય તો ટાટા જૂથને સોદામાં રસ નથી. ગોયલ ફેમિલી હાલ જેટ એરવેઝમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. જેટ એરવેઝના પ્રતિનિધિઓએ ટાટા જૂથને ૨૬ ટકા હિસ્સા અને વાઇસ ચેરમેનશિપ સહિત બોર્ડમાં સભ્યપદની ઓફર કરી હતી. જેને ટાટા ગ્રૂપે ફગાવી દીધી છે. ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ટાટા જૂથ એરલાઇનની તમામ એસેટ્સ ખરીદવામાં અને વર્તમાન બિઝનેસના નોંધપાત્ર વિસ્તરણમાં રસ ધરાવે છે.”

જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માહિતી સંપૂર્ણપણે અટકળો આધારિત છે. ટાટા સન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસારઅમે બજારની અટકળો અંગે નિવેદન કરતા નથી.” ટાટા જૂથમાં સક્રિય અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “અમે સ્ટીલ કંપનીના એક્વિઝિશનની જેમ એરલાઇનના નોંધપાત્ર વિસ્તરણની યોજના ધરાવીએ છીએ. નાના જોડાણમાં અમને રસ નથી. અમે એસેટ્સના વેચાણ ઉપરાંત, સોદામાંથી કંઈક વધુ મેળવવા સક્રિય છે.”

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રસેકરન્ અને જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ એક વખત મળ્યા છે. ટાટા ગ્રૂપને માન્ય હોય એવો અન્ય પ્રસ્તાવ આવશે તો વાટાઘાટ ચાલુ રહી શકે. ટેક્સાસની પ્રાઇવેટ ઇક્વિટી કંપની ટીપીજી કેપિટલે પણ જેટ એરવેઝની આંશિક માલિકીની ઓફર ફગાવી દીધી છે. જેટના ચેરમેન નરેશ ગોયલ અને પત્ની અનિતા કંપનીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. UAEની એતિહાદનો કંપનીમાં 24 ટકા હિસ્સો છે.

જેટ એરવેઝે ટીપીજી કેપિટલ મેનેજમેન્ટ સાથે બે તબક્કાની મંત્રણા કરી છે, પણ માલિકી હકના મુદ્દે મતભેદ અને એક્વિઝિશન પછી એરલાઇનમાં ગોયલની ભૂમિકા ચાલુ રહેવાની વાતના કારણે વાટાઘાટ અટકી પડી હતી. ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે થોડા સમય પહેલાં પાઇલટ્સ અને મહત્ત્વના એક્ઝિક્યુટિવ્સનો પગાર ચૂકવવામાં વિલંબ કર્યો હતો. કંપની નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. એરલાઇન ટકી રહેવા માટે વ્યૂહાત્મક અને ફાઇનાન્શિયલ રોકાણકારો સાથે એસેટ્સ વેચવા વાટાઘાટ કરી રહી છે.

(5:37 pm IST)