Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આરએસએસ સબરીમાલા સંદર્ભે અસહિષ્ણુ : વિજયન

મોહન ભાગવતના નિવેદનની ઝાટકણી કાઢી : સબરીમાલામાં વિશેષતા છે જે દેશના બાકીના મંદિરોમાં રહી નથી : અહીં તમામ જાતિના શ્રદ્ધાળુના પ્રવેશને મંજુરી

થિરુવંતનપુરમ, તા. ૧૮ : કેરળમાં સબરીમાલા મંદિરમાં વિવાદે હવે રાજકીય રંગ લઇ લીધો છે. સબરીમાલા વિવાદ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન ઉપર વળતા પ્રહાર કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું છે કે, સંઘ પરિવાર મંદિર પ્રત્યે હમેશા અસહિષ્ણ રહે છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં એક વિશેષતા છે જે બાકી મંદિરો ગુમાવી ચુક્યા છે. તે તમામ ધર્મ અને જાતિના લોકોને પ્રવેશની મંજુરી આપે છે. તેમણે કહ્યું હતું કે, સંઘ પરિવાર અને સંઘ હમેશા આ તથ્યને લઇને અસહિષ્ણુ રહ્યું છે. તેઓ સબરીમાલાના ગુણોને ખતમ કરવાના પ્રયાસ કરી ચુક્યા છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં આદિવાસી સમુદાય દ્વારા અદા કરવામાં આવેલી રસમ રિવાજોને ખતમ કરવામાં સંઘની ભૂમિકા જનસાધારણમાં પ્રચલિત છે. વર્તમાન વિરોધ પ્રદર્શનને આજરીતે જોવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, સંઘના લોકો હુમલાખોરોને સમર્થન આપી રહ્યા છે જેના લીધે લોકોમાં દહેશત ફેલાઈ રહી છે. આ હુમલાખોરો જાતિવાદી અને કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત છે. આ પ્રકારના આંદોલનને પ્રોત્સાહિત કરવાથી સબરીમાલા જેવા સ્થાનોથી પછાત જાતિના લોકોની હિજરત શરૂ થશે. તમામ ધર્મના લોકોએ સબરીમાલા ઉપર આ પ્રકારના હુમલાઓની નિંદા કરવી જોઇએ. ૯૩ની વિજ્યાદશમી ઉત્સવમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશની મંજુરીના મુદ્દા ઉપર રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સબરીમાલા દેવસ્થાનના સંબંધમાં સેંકડો વર્ષોની પરંપરાના સ્વરુપના કારણોમાં મૂળમાં વિચારણા કરવામાં આવી નથી. લોકોની ભાવનાનું સન્માન થયું નથી. ધાર્મિક પરંપરાઓના પ્રમુખ પક્ષ કરોડો ભક્તોની શ્રદ્ધા, મહિલાઓના મોટાવર્ગ દ્વારા નિયમોને માનવામાં આવે છે પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. સબરીમાલા સંરક્ષણ સમિતિએ રાજ્યવ્યાપી બંધની હાકલ કરી હતી.

(12:00 am IST)