Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સબરીમાલાને લઇને ઘમસાણ જારી : બંધની માઠી અસર થઇ

વિરોધ પ્રદર્શન વચ્ચે અનેકની અટકાયત કરાઈ : સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી નથી : ૧૨ કલાકના બંધને ભાજપ, સંઘે ટેકો આપ્યો

થિરુવનંતપુરમ,તા. ૧૮ : કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિરોધ પ્રદર્શનનો દોર આજે જારી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી નથી. બીજી બાજુ સબરીમાલા  સંરક્ષણ સમિતિ દ્વારા આજે ૧૨ કલાકના રાજ્યવ્યાપી બંધની હાકલ કરી હતી. બંધના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. ભાજપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષધ અને અન્ય કેટલાક સ્થાનિક સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યા બાદ તેન અસર જોવા મળી રહી છે. વાહનો માર્ગો પર ઓછા દેખાયા હતા. શ્રદ્ધાળુઓની સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં આજે બંધની હાકલ કરવામા ંઆવી હતી. મહિલાઓના પ્રવેશની સામે વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ આ બંધન હાકલ કરવામાં આવી હતી. દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. ગઇકાલે મંદિરને મહિલા શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા બાદ પણ દેખાવકારોએ તેમના પ્રવેશને લઇને વાંધો ઉઠાવ્યો હતો. ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગઇકાલે પ્રથમ વખત સબરીમાલા મંદિરને ખોલવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ છે કે તે બંધમાં સામેલ થશે નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તે વિરોધ પ્રદર્શન જારી રાખશે. પ્રદેશના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. જેના પરિણામસ્વરૂપે ચારથી વધુ લોકોને એકત્રિત થવાની મંજુરી આપવામાં આવી રહી નથી. કેરળમાં ભાજપના નેતા શ્રધરન પિલ્લાઇએ કહ્યુ છે કે ભગવાન અયપ્પાના શ્રદ્ધાળુઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જની સામે બંધમાં સામેલ થવા કાર્યકરોને અપીલ કર હતી. બજી બાજુ ત્રાવણકોર દેવાસ્થાનમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ગોપાલકૃષ્ણને કહ્યુ છે કે સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમે કેન્દ્ર સરકાર પાસેથી આ મુદ્દે વટહુકમ લાવવાની માંગ કરી રહ્યા છીએ. કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કેટલાક મંદિરોની પરંપરાનુ પાલન કરવામાં આવે તે જરૂરી છે.

કોર્ટ મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપે છે. પરંતુ ૫૦-૭૦ વર્ષના ગાળામાં કોઇ પણ બાળકી અને મહિલાએ ભગવાન અયપ્પાની પુજા કરી નથી. સબરીમાલા પ્રોટેક્શન કમિટી દ્વારા બંધની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય ખેંચતાણની શરૂઆત થઇ ગઇ છે. આગામી દિવસોમાં વિવાદ અકબંધ રહે તેવી શક્યતા છે. 

 

સબરીમાલા ઘમસાણ....

*    ૨૮મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદથી સબરીમાલા મંદિરને લઇને ઘમસાણીની સ્થિતિ

*    નિર્ણયની તરફેણ કરનાર લોકો અને વિરોધ કરનાર લોકો સામ સામે આવ્યા

*    મંદિર તરફ દોરી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને મહિલાઓને રોકવાના પ્રયાસ કરાયા

*    ૧૨ કલાકના બંધ દરમિયાન દુકાનો અને વેપારી પેઢીઓ બંધ

*    સબરીમાલા પ્રોટેક્શન કમિટિ દ્વારા ૧૨ કલાકના બંધની હાંકલ કરવામાં આવ્યા બાદ મજબૂત સુરક્ષા રાખવામાં આવી

*    ભાજપ અને સંઘના લોકોએ બંધને સમર્થન આપ્યું

*    કોંગ્રેસ પાર્ટીના લોકોએ સાવધાનીપૂર્વકનુ વલણ અપનાવ્યું

*    સરકારે ભાજપ, સંઘ અને અન્ય પાર્ટી ઉપર હિંસા ફેલાવવાના આક્ષેપો કર્યા

(12:00 am IST)