Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને UNમાં પણ મળી કારમી હાર, કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપનો સ્પષ્ટ ઈન્કાર

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦(Article 370) હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીકરણ પર ઉતરી આવ્યું છેઃ પરંતુ સંયુકત રાષ્ટ્રએ તેને મોટો આંચકો આપ્યો

નવી દિલ્હી, તા.૧૯: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદથી પાકિસ્તાન  બરાબર ધૂંધવાયું છે અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીકરણ પર ઉતરી આવ્યું છે. પરંતુ સંયુકત રાષ્ટ્રએ તેને મોટો આંચકો આપ્યો છે. સંયુકત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે. યુએનનું કહેવું છે કે બંને દેશો પરસ્પર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે. સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર નિવેદન આપતા કહ્યું કે હું એ વાત સાથે સ્પષ્ટ મત ધરાવું છું કે કાશ્મીરમાં માનવાધિકારોનું સંપૂર્ણ રીતે સન્માન થવું જોઈએ. અને એ વાત ઉપર પણ સ્પષ્ટ મત ધરાવું છું કે કાશ્મીર સમસ્યાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત એક આવશ્યક તત્વ છે.

યુએન મહાસચિવે કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી. અત્રે જણાવવાનું કે બુધવારે ૧૮ સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર પર યુરોપિયન યુનિયને પાકિસ્તાનને ખુબ જ ફટકાર લગાવી. પોલેન્ડે આકરા તેવર અપનાવતા કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા પરંતુ પાકિસ્તાનમાંથી આવે છે. પોલેન્ડે આ વાત ઈયુની સંસદમાં કહી. આ બાજુ ઈટલીએ કહ્યું કે પાકિસ્તાની આતંકીઓ યુરોપમાં હુમલાની યોજના ઘડી રહ્યાં છે. ફ્રાન્સના સ્ટ્રોસબર્ગમાં યુરોપીય સંઘની સંસદે બુધવારે ગત ૧૧ વર્ષોમાં પહેલીવાર કાશ્મીર પર ચર્ચા કરી અને ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું. અહીં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે વાતચીત થઈ. આ અગાઉ ૨૦૦૮માં અહીં કાશ્મીર મુદ્દો ઉઠયો હતો.

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેને હારનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ઈઝરાયેલ જેવા દેશો ઉપરાંત સંયુકત રાષ્ટ્રએ પણ પાકિસ્તાનને ફટકાર લગાવેલી છે. હવે યુરોપિયન યુનિયને પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે ફટકાર લગાવી છે. ચર્ચા છે કે પાકિસ્તાન તેના પર જીનેવામાં ૯ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલનારી સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની ૪૨મી બેઠકમાં ફરી એકવાર જમ્મુ કાશ્મીર પર પ્રસ્તાવ લાવી શકે છે.

(4:02 pm IST)