Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉત્તરપ્રદેશ : ૫૫૭ કરોડની વિકાસ યોજનાઓ શરૂ થઇ

સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કામનો હિસાબ આપ્યો : વારાણસીને મુખ્ય હબ બનાવાશે : હજારો કરોડની માર્ગ યોજનાઓ ચાલી રહી છે : યુપી ઝડપથી વિકાસની તરફ

વારાણસી,તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મતવિસ્તાર વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ ૫૫૭ કરોડની વિકાસ યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા. સાથે સાથે ઉપસ્થિત લોકોને સંબોધન કરીને તમામ પગલાની માહિતી આપી હતી. વારાણસી પહોંચેલા મોદીએ બીજા દિવસે પોતાના કામોનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વારાણસીમાં ૫૫૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ થયા છે અથવા તો શિલાન્યાસ થયા છે. અગાઉની સરકારો ઉપર પ્રહારો કરતા મોદીએ કહ્યું હતું કે, સામાન્ય લોકો એવી વ્યવસ્થાના સાક્ષી રહ્યા છે જ્યારે અમારી વારાણસીને ભગવાન શિવના ભરોસે અને પોતાની હાલત પર છોડી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, વારાણસીમાં સારા રસ્તા, રેલવે, ગેસ, એલઈડી, હવાઈ સેવા માટે કરવામાં આવેલા કાર્યો ઉલ્લેખનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ પોતાના કામનો હિસાબ આપવા માટેની જવાબદારી સમજે છે. વિકાસના આ કામ વારાણસી શહેરને જ નહીં બલ્કે આસપાસના ગામોને પણ જોડે છે. વારાણસીમાં હજારો કરોડની અનેક માર્ગ યોજનાઓ ચાલી રહી છે. ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. ગંગાનદી પર બની રહેલા પુલનું કામ પણ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉની સરકાર ઉદાસીન રહેતી હતી. યોગી સરકાર સત્તામાં આવ્યા બાદથી ઝડપથી કામો થઇ રહ્યા છે. બિહાર, નેપાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ તરફ જતાં રસ્તાને પહોળા કરવામાં આવી રહ્યા છે. નેશનલ હાઈવે સાતને વારાણસીથી સુલ્તાનપુર, ગોરખપુર, હંડિયા માર્ગ સંપર્ક માટે ૧૦૦૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વારાણસીમાં વિકાસના લીધે વધુ પ્રવાસી પહોંચી રહ્યા છે. અડધાથી વધુ શહેરોમાં હવે તાર ગાયબ થઇ ચુક્યા છે. જમીન નીચે તમામ કામગીરી પૂર્ણ થઇ છે. વિજળી સાથે જોડાયેલા પાંચ પ્રોજેક્ટોમાંથી એકમાં જૂની વારાણસીને વિજળીના તાર લટકાવવામાંથી મુક્તિ આપવા સાથે સંબંધિત છે. મોદીએ બીએચયુ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં મોદીએ પોતાના સંબોધનમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની માહિતી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે આગામી દિવસોમાં વારાણસી મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યુ છે. સ્માર્ટ વારાણસીમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટની મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે વારાણસીના વિકાસથી બિહાર અને નેપાળ જવા માટે પણ સરળતા રહેશે. ઉત્તરપ્રદેશ આગામી દિવસોમાં વિકાસની નવી સિદ્ધીઓ હાંસલ કરનાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વારાણસીની અન્ય શહેરો સાથે રેલવે કનેક્ટિવીટી ખુબ વધી છે. ટ્રેનથી વારાણસી જનાર સામાન્ય વ્યક્તિને પહેલાથી જ નવી વારાણસી નજરે પડે છે. વારાણસીથી અનેક મોટા શહેરો માટે નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

વારાણસીમાં સ્વચ્છતાના મામલે પરિવર્તન જોવામાં આવી રહ્યા છે. મોદી ગઇકાલે સાંજે ઉત્તરપ્રદેશમાં તેમના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં પહોંચેલા મોદીએ સ્કુલી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ગઉકાલે સોમવારના દિવસે સાંજે પાંચ વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા.વહીવટી અધિકારીઓ સાથે પણ મોદીએ બેઠક યોજી હતી. પ્રવાસી ભારતીય સંમેલનમાં પણ જોડાયા હતા.આજે  બીએચયુના મેદાનમાં જનસભાને સંબોધન કરવા માટે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મોદીએ તેમના સંબોધનમાં વિકાસ યોજનાઓની તથા સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. ગઇકાલે સોમવારે  બાળકોની વચ્ચે મોદીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. ગંગાઘાટ ઉપર સવારથી જ ઉજવણી શરૂ થઇ હતી. શહેરના લહુરાબીર આઝાદ પાર્કમાં ભાજપના કાર્યકરોએ ૬૮ કિલો લાડૂની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

(12:00 am IST)