Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જમ્મુના તવી નદીમાં અચાનક જળ સ્તર વધી જતા અેક નિર્માણધીન પુલ ઉપર ફસાયેલા બે લોકોને બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવી પડી

જમ્મુ: તવી નદીમાં અચાનક જળ સ્તર વધી જવાથી તેના પર બની રહેલા એક નિર્માણધીન પુલ પર બે લોકો ફસાઈ ગયાં. તેમને બચાવવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું. જાંબાઝ વાયુસૈનિકોએ પાણીનો પ્રવાહ વધે તે પહેલા ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા. ઉલ્લેખનીય છે કે દેશના અલગ અલગ ભાગોમાં હાલ ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વિનાશ વેર્યો છે.

આજે અચાનક જમ્મુની તવી નદીનું જળસ્તર વધી ગયું. ધસમસતા પ્રવાહના કારણે 2 લોકો ફસાઈ ગયાં. બંને લોકો નિર્માણધીન પુલના એક પીલર પર ફસાઈ ગયા હતાં. નદીનું જળસ્તર વધવાના કારણે ઘટના ઘટી. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘટનાની જાણ થતા વાયુસેના ત્યાં પહોંચી ગઈ. પ્રાથમિક જાણકારી મુજબ જ્યારે વાયુસેનાએ રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું તો દોરડું તૂટી ગયું. જો કે રાહતની વાત રહી કે તેમાં કોઈનો જીવ ગયો નહીં કે  કોઈ ઘાયલ થયું નહીં. અકસ્માત બાદ વાયુસેનાએ ફરીથી નવા પ્લાનિંગ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું.

હેલિકોપ્ટર દ્વારા એક ઓફિસર દોરડાના સહારે પુલ પર ઉતરે છે અને અને ફસાયેલા બંને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પુલ પર ઉતરતા ઓફિસરે બંને લોકોને બચાવવા માટે તેમને દોરડાથી બરાબર બાંધી દે છે. ત્યારબાદ બંનેને એરલિફ્ટ કરવામાં આવે છે.

અત્રે જણાવવાનું કે દેશના ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, વગેરેમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખુબ ખરાબ છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. અનેક લોકો બેઘર થયા છે. ભારે વરસાદના કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીની યાત્રા પણ રોકી દેવાઈ છે. હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદના કારણે 800થી વધુ રસ્તા અને 13થી વધુ હાઈવે બંધ છે. કુલ્લુમાં પણ બે પુલ તૂટી ગયા છે જેનાથી બંને બાજુ મુસાફરો ફસાયેલા છે.

(5:20 pm IST)