Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

FPI દ્વારા ઓગસ્ટમાં જ કુલ ૭૫૭૭ કરોડ ઠાલવી દેવાયા

ઇક્વિટીમાં ૨૪૦૯ કરોડ રૂપિયા ઠલવાયા છે : છેલ્લા મહિનામાં ઇક્વિટી તેમજ ડેબ્ટ માર્કેટમાં ૨૩૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદથી પ્રવાહ અકબંધ

મુંબઈ, તા.૧૯ : વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી મુડી માર્કેટમાં ૭૫૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દીધી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સુધારો થયો છે. કોર્પોરેટ કમાણીના આંકડા પણ અપેક્ષા કરતા સારા રહ્યા છે. ગયા મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૨૩૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. તે પહેલા ઉથલપાથલવાળી સ્થિતિ રહી હતી. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૭મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાં ૨૪૦૯ કરોડ અને ડેબ્ટ માર્કેટમાં ૫૧૬૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ આ મહિનામાં કુલ ૭૫૭૭ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૧૫૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૩૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે. બેંચમાર્ક બોન્ડનો આંકડો ઓગસ્ટમાં ૭.૭૭ ટકા સુધી પહોંચ્યો છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઈ ચુક્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે. તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિક ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ઉભરતા માર્કેટમાં ભારતે સ્થિરતા દર્શાવી છે. આઈએમએફની આગાહી મુજબ ભારતનું આર્થિક આઉટલુટ જોરદારરીતે સુધરી રહ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એફપીઆઈનું ધ્યાન હવે લાંબાગાળા ઉપર કેન્દ્રિત થયું છે. ઉભરતા માર્કેટમાં ભારતે સ્થિરતાના સંકેતો આપ્યા છે જેનાલીધે રોકાણકારો આકર્ષિત થયા છે.

FPI દ્વારા લેવાલી.....

*    મૂડી માર્કેટમાં વિદેશી રોકાણકારોએ ૭૫૭૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે

*    ઇક્વિટીમાં ૨૪૦૯ કરોડ અને ડેબ્ટ માર્કેટમાં એકથી ૧૭મી ઓગસ્ટ દરમિયાન ૫૧૬૮ કરોડ રૂપિયા ઠલવાયા

*    મૂડી માર્કેટમાંથી એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન ૬૧૦૦૦ કરોડથી વધુ નાણાં પરત ખેંચાયા બાદ ફરીથી રોકાણ કરાયું

*    માર્ચ મહિનામાં ૨૬૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*    જાન્યુઆરી મહિનામાં ૨૨૨૭૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા

*    ફેબ્રુઆરીમાં ૧૧૬૭૪ કરોડ પરત ખેંચી લેવામાં આવ્યા હતા

*    માર્ચ મહિનામાં ફરીવાર ૨૬૬૧ કરોડ રોકવામાં આવ્યા હતા

*    એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં જુદા જુદા પરીબળોની અસર દેખાઈ

*    ક્રુડ ઓઈલની કિંમતમાં સ્થિરતા અને રૂપિયો સ્થિર થતાં નવી આશા જાગી છે

*    આ વર્ષે હજુ સુધી ઇક્વિટીમાંથી ૧૫૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૩૬૦૦૦ કરોડ ઠાલવી દેવાયા

 

(7:31 pm IST)