Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

એર ઇન્ડિયા વેચાણ : અમિત શાહ પેનલનું નેતૃત્વ કરવા સજ્જ

નીતિન ગડકરીને પેનલમાંથી પડતા મુકાયા : એર ઇન્ડિયાના વેચાણ માટે પેનલ હવે રૂપરેખા બનાવશે

નવી દિલ્હી, તા. ૧૮ : ગૃહમંત્રી અમિત શાહ એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટના મામલામાં ફરી રચવામાં આવેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનું નેતૃત્વ કરનાર છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ પેનલમાંથી પડતા મુકવામાં આવી ચુક્યા છે. એર ઇન્ડિયાના વેચાણને લઇને રચવામાં આવેલી પ્રધાનોની પેનલમાં અમિત શાહ નેતૃત્વ કરશે. પેનલ દ્વારા એર ઇન્ડિયા વેચાણ માટે રુપરેખા નક્કી કરવામાં આવશે. અમિત શાહના નેતૃત્વમાં આ પેનલમાં ચાર પ્રધાનો રહેશે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામન, વાણિજ્ય અને રેલવે મંત્રી પીયુષ ગોયેલ અને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપનો સમાવેશ થાય છે.

હરદીપસિંહ પુરીને પણ પેનલમાં રાખીને તમામ માહિતી મેળવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. આ પેનલનું નામ એર ઇન્ડિયા સ્પેશિફિક અલ્ટરનેટિવ મેકેનિઝમ રાખવામાં આવ્યું છે. ૨૦૧૭ જૂનમાં પ્રથમ વખત આની રચના કરાઈ હતી. તે વખતે તેમાં પાંચ સભ્યો હતા અને તેનું નેતૃત્વ તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવ્યું હતું. તે વખતે પેનલમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હતા. સુત્રોના કહેવા મુજબ મોદી સરકાર-૨ સત્તામાં આવ્યા બાદ જીઓએમની ફરી રચના કરવામાં આવી છે પરંતુ આ વખતે ગડકરીનો સમાવેશ કરાયો નથી.

પ્રથમ અવધિમાં મોદી સરકારે એર ઇન્ડિયામાં સરકારની ૭૬ ટકા હિસ્સેદારી ખરીદવા માટે ૨૦૧૮માં મૂડીરોકાણકારો પાસેથી બિડ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મેનેજમેન્ટ કન્ટ્રોલ સાથે હિસ્સેદારી ખરીદવા માટે બિડ આમંત્રિત કરાયા હતા. જો કે, આ સમગ્ર પ્રક્રિયા ફ્લોપ રહી હતી. કારણ કે, મૂડીરોકાણકારો તેમના બીડમાં આગળ આવ્યા ન હતા. ત્યારબાદ આ પ્રક્રિયાને આગળ વધારવાનો નિર્ણય કરાયો હતો. હવે ફરી એકવાર ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ૨૬મી જુલાઈના દિવસે સંસદ સત્રની પૂર્ણાહૂતિ બાદ બેઠક મળનાર છે. બજેટમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ૧.૦૫ લાખ કરોડનો રાખવામાં આવ્યો છે.

(12:00 am IST)