Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કાલે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા-મતદાન : તમામની નજર

નંબર ગેમની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી સરકાર પર કોઇપણ સંકટ નથી : મોંઘવારી, ભાવ વધારા, જીએસટી અને નોટબંધી સહિત વિવિધ પ્રશ્ને મોદી સરકાર પર પ્રહારો કરીને લાભ ઉઠાવવાની કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને તક

નવીદિલ્હી, તા. ૧૯ : રાજકીય વર્તુળોમાં જેની ચર્ચા છે કે, એનડીએ સરકારની સામે અવિશ્વાસ દરખાસ્ત આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવ્યા બાદ મતદાન પણ થશે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને અવિશ્વાસ દરખાસ્તને સ્વીકારી લીધી છે. અવિશ્વાસ દરખાસ્તથી કોઇપણ નુકસાન થશે નહીં. તેને લઇને સરકાર બિલકુલ ચિંતિત નથી. બીજી બાજુ વિપક્ષને આશા હતી કે, સરકાર અવિશ્વાસ દરખાસ્ત ઉપર સહમત થતાં પહેલા થોડો સમય લેશે જેથી સરકાર ઉપર પ્રહારો કરવાની વિપક્ષને તક મળી જશે પરંતુ સરકાર પ્રજાની વચ્ચે એવો કોઇ સંદેશ જવા દેવા માટે તૈયાર નથી કે, પુરતી સંખ્યા હોવા  છતાં તે ફ્લોર ટેસ્ટથી બચી રહી છે. ભાજપની યોજના છે કે, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને આવા તકવાદી ગઠબંધન તરીકે રજૂ કરવામાં આવે. જેમની મોદીના વિરોધ સિવાય અન્ય કોઇ યોજના નથી. એનડીએના પ્રવક્તા પોતાની નીતિઓને યુપીએ સરકારની સરખામણીમાં વધુ સારી ગણાવવાના પ્રયાસમાં છે. વિકાસમાં તેજી, ડિજિટલીકરણ, બેનામી કાનૂન, આધારને લિંક કરવાની યોજનાનો સમાવેશ થાય છે. અર્થવ્યવસ્થાને સ્વચ્છ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે તે બાબત દર્શાવવાના પ્રયાસ કરાશે. વિરોધ પક્ષ સારી રીતે જાણે છે કે નંબર ગેમ તેની વિરુદ્ધમાં છે પરંતુ તે સમગ્ર મામલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર ઉપર પ્રહાર કરવા ઇચ્છુક છે. બિનએનડીએ પક્ષોની સાથે એકમત થવાના સંદેશા પણ આપવા માંગે છે. કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે, કિંમતોમાં વધારો, બેરોજગારી, અસહિષ્ણુતામાં વધારો, જીએસટી અમલી કરવાની બાબત, નોટબંધીથી થયેલી તકલીફો, ખેડૂતોની તકલીફો અને એમએસપી જેવા મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. વિપક્ષનું માનવું છે કે, મોદી ઉપર આકરા પ્રહારો કરવાથી દેશભરની નજરો તેના ઉપર કેન્દ્રિત રહેશે. આનો ફાયદો વિપક્ષને થશે. બીજી બાજુ સંસદીય બાબતોના મંત્રી અનંતકુમાર કહી ચુક્યા છે કે, પાર્ટીએ પોતાના તમામ સાંસદો સામે વ્હીપ જારી કરી દીધો છે જેને લઇને સભ્યો તમામ ઉપસ્થિત રહેશે. અમે દરખાસ્તને લઇને બિલકુલ આશાવાદી છીએ. નંબર ગેમના મામલામાં મોદી ચોક્કસપણે આગળ છે. ૨૭૩ ભાજપ સાંસદોની સામે ગઠબંધનના૩૯ સભ્યો પણ છે. આની સાથે એનડીએના સાંસદોની સંખ્યા ૩૧૪ થઇ જાય છે જે ગૃહમાં આશરે ૫૭ ટકા હિસ્સો છે. ટીડીપીએ અન્ય તમામ પાર્ટીઓને તેના પ્રસ્તાવના સમર્થનમાં વાત કરવા કહ્યું છે. આ ફ્લોર ટેસ્ટ વિરોધ પક્ષો માટે પોતાની એકતા દર્શાવવા માટેની તક છે. સરકારની નિષ્ફળતાઓને ગણાવીને પ્રહારો કરી રજૂઆત કરવાના પ્રયાસો કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના મોનસુન સત્રના પ્રથમ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. ૧૫ વર્ષમાં પ્રથમ વખત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી રહી છે. કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને શરદ પવારના નેતૃત્વમાં એનસીપી દ્વારા લાવવામાં આવેલી આ દરખાસ્તને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સ્વીકારી લીધા બાદ આવતીકાલે આના ઉપર ચર્ચા થશે. મોદી સરકારની સામે આ પ્રથમ અવિશ્વાસ દરખાસ્ત છે. અલબત્ત નંબર ગેમના મામલામાં કોઇ તકલીફ નથી અને એનડીએ સરકાર સામે કોઇ સંકટ પણ નથી. એનડીએની પાસે લોકસભાના ૩૧૨ સભ્યો છે. ટીડીપીના કે શ્રીનિવાસે સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. સંસદનુ મોનસુન સત્ર ગઇકાલે શરૂ થયું હતું.

આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષ જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, ખેડુતોની સમસ્યા, બેરોજગારી અને દલિતો પર અત્યાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટે લડાયક છે. મોદી સરકાર સત્રમાં ત્રિપલ તલાક સહિતના મુદ્દા પર બિલને પસાર કરવા માટે  ઇચ્છુક છે. મોનસુન સત્ર શરૂ થયા બાદ ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે.

(7:56 pm IST)