Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હેલિકોપ્ટર લાંચ કેસ : પુરક ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

૨૮ મિલિયન યુરોના મની લોન્ડરિંગનો મામલો : ચાર્જશીટમાં એરફોર્સના પૂર્વ વડા ત્યાગીના નામનો ઉલ્લેખ

નોઇડા,તા. ૧૮ : ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર લાંચ રૂશ્વત કેસમાં આજે પુરક ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. એરફોર્સના  પૂર્વ વડા એસપી ત્યાગી, તેમના બે કઝીન, વકીલ ગૌત્તમ ખેતાન, બે ઇટાલીયન મધ્યસ્થી અને ફિના મેકેનિકા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સ્પેશિયલ જજ અરવિંદ કુમાર સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં વિચારણા માટે તે હાથ ધરવામાં આવશે. ૨૦મી જુલાઈના દિવસે વિચારણા માટે હાથ ધરવામાં આવ્યા બાદ એસપી ત્યાગી ઉપર સકંજો મજબૂત કરવામાં આવે તેવી શક્યતા છે. એરફોર્સના પૂર્વ વડા એસપી ત્યાગીની તકલીફ સતત વધી રહી છે. આગામી દિવસો તેમના માટે પડકારરુપ રહી શકે છે. ચાર્જશીટમાં ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર એનકે મટ્ટા મારફતે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં ત્યાગી બંધુઓના નામનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ઇટાલિયન મધ્યસ્થી કાર્લો ગેરોસાનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટાવેસ્ટલેન્ડની પેરેન્ટ કંપની ફિના મેકેનિકા સામે પણ એફઆઈઆર કરવામાં આવી છે. ૮ મિલિયન યુરોના મની લોન્ડરિંગનો આક્ષેપ તેમના ઉપર કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર કૌભાંડમાં ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇડીએ કહ્યું છે કે, મલ્ટીપલ વિદેશી કંપનીઓ મારફતે નાણા ઉચાપત કરવામાં આવી હતી. આ મામલામાં કટકી મોટા પ્રમાણમાં થઇ હતી. ૩૬ અબજ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજી મામલામાં તપાસ ચાલી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ભારતે બ્રિટિશ ગૌણ કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથે હેલિકોપ્ટર સોદાબાજી કરાર રદ કર્યો હતો.

(12:00 am IST)