Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બે વર્ષમાં પાંચ કરોડ ગરીબી રેખાથી ઉપર ઉઠયા છેઃ મોદી

ન્યૂ ઈન્ડિયા કોન્ક્લેવમાં નરેન્દ્ર મોદીનું સંબોધનઃ મોદી દ્વારા ઘણી શ્રેણીઓમાં રાષ્ટ્રીય વિજેતાઓનું સન્માન

નવી દિલ્હી, તા.૧૮: નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આજે યોજાયેલી ન્યૂ ઈન્ડિયા કોન્ક્લેવ-૨૦૧૮માં સૌથી મોટા બિન- સરકારી ગ્રામીણ પહોંચ કાર્યક્રમના છેલ્લા થોડા મહિનાઓની સફળ પૂર્ણાહુતિ થયેલી જોવા મળી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઈન્ડિયા કોન્ક્લેવની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દેશ પરિવર્તન હેઠળ પસાર થઈ રહ્યો છે અને છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રએ ૨૧મી સદીમાં નવી ઊંચાઈ સર કરવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે આપણે દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા છીએ. ભારતમાં ગરીબી તેજ ગતિથી ઓછી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં પાંચ કરોડ લોકો ગરીબી રેખાની ઉપર આવી ગયા છે. સરકાર આ બાબતમાં અભિમુખકર્તાની જ ભૂમિકા ભજવી શકે છે. તેમણે આ અત્યંત જરૂરી પરિવર્તન લાવવા માટે અને યુવા ભારત દ્વારા નવભારત નિર્માણ કરવા માટે યુવાનોની શક્તિને શ્રેય આપ્યું હતું. ભારતમાં યુવાનો સ્થિતિમાં પરિવર્તન લાવીને રહેશે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ત્રણ કરોડથી વધુ બાળકોને રસી આપવામાં આવી છે, ૧.૭૫ લાખ કિ.મી રસ્તાઓ બંધાયા છે, ૧૮,૦૦૦ ગામડાઓને વીજળી મળી છે, ૮૫ લાખ ઘરોમાં ઓક્ટોબર ૨૦૧૭થી વીજળી આવી છે, તો ૪.૬૫ કરોડ ગેસ જોડાણો ગરીબો સુધી પહોંચ્યા છે. આ બધું ભારતીય યુવાના પ્રયાસો અને કટિબદ્ધતાને લીધે શક્ય બન્યું છે. વડા પ્રધાને કોન્ક્લેવની ટેગ લાઈન અબ હમારી બારીની સરાહના કરી હતી. ન્યૂ ઈન્ડિયા કોન્ક્લેવનું લક્ષ્ય કોર્પોરેટ્સ અને અન્ય મુખ્ય હિસ્સાધારકો ઊભરતા ગ્રામીણ ક્ષેત્રમાં ઘણાં બધાં ક્ષેત્રોમાં ફરક લાવવા માટે સામે રહેલી આકર્ષક અને ઊભરતી તકોનો લાભ લેવાનું છે.  આ રાષ્ટ્રવ્યાપી પહેલની આગેવાની વાય૪ડી ફાઉન્ડેશન દ્વારા અગ્રણી ભારતીય સિમેન્ટ પુરવઠાદાર દાલમિયા સિમેન્ટ અને નામાંકિત એનજીઓ અવની ફાઉન્ડેશન અને આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ સાથે સહયોગમાં કરાઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક શ્રેણીઓમાં રાષ્ટ્રીય વિજેતાઓનું સન્માન કર્યું હતું, જેમાં આધુનિક ખેડૂત, મોડેલ વિલેજ, વિલેજ ફ્રેન્ડ, ઈન્સ્પિરેશનલ યુથ અને વિલેજ એન્ટરપ્રેન્યોર્સ તેમ જ દાલમિયા દિલ જોડે દેશ જોડે એવોર્ડનો સમાવેશ થતો હતો. શ્રેણીઓમા રનર-અપ પુરસ્કાર ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી નરેન્દ્રસિંગ તોમર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પછી રાજ્યના વિજેતાઓને યુવા બાબતોના મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોર, મેઘાલયના ગૃહ મંત્રીજેમ્સ સંગમને હસ્તે એવોર્ડસ અપાયા હતા. કોન્ક્લેવમાં ઉપ-રાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગ્રામીણ તરફ પાછા વળવાની મહાત્મા ગાંધીજીની શીખને યાદ કરી જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતાનું સૂચન અત્યંત વિચારપૂર્વકનું સૂચન હતું, કારણ કે દેશના મોટા ભાગના લોકો ગામડાંઓમાં વસ્તા હતા. ભારતની મોટા ભાગની વસતિ ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે તે છતાં દેશ ઉદ્યોગો, સંગઠિત ક્ષેત્રો અને શહેરી વસતિ પર મોટે ભાગે કેન્દ્રિત રહ્યો છે. તેમણે ગ્રામીણ અને શહેરો વચ્ચેનું અંતર દૂર કરવાની જરૂર અને કૃષિ સાથે ઉદ્યોગોના વિકાસ પર પણ તેટલું ધ્યાન આપવા પર ભાર આપ્યો હતો, જેથી ભારત આગામી ૧૦થી ૧૫ વર્ષમાં દુનિયામાં તૃતીય સૌથી વિશાળ અર્થવ્યવસ્થા તરીકે ઊભરી આવશે. તેમણે રોજગારી, શિક્ષણ, મનોરંજન, આર્થિક ઉદ્ધાર અને બહેતર તબીબી સુવિધાઓ માટે ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો શહેરો તરફ કઈ રીતે હિજરત કરી આવે છે અને તે રોકવા માટે ગ્રામીણ ભારતમાં ઉક્ત પાંચ સુવિધાઓ નિર્માણ કરવા પર ભાર મૂકયો હતો. તેમના અનુસાર કૃષિને નફાકારક બનાવવાનું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ખેડૂતના બાળકો અન્ય વ્યવસાય તરફ વળવાને બદલે ખેતીવાડી સંભાળવાનું પસંદ કરે. મોદી સરકાર દ્વારા ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કોન્ક્લેવમાં ગ્રામીણ પરિવર્તન એ દરેકની જવાબદારી બનાવવાની ભાવનાઓ પર ભાર મુકાયો હતો. દાલમિયા ભારત ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર પુનીત દાલમિયા, વાય૪ડી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રફુલ્લ નિકમ સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

(12:00 am IST)