Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

શિકાગો નજીક સ્‍ટ્રીમવુડ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરનો સાતમો પાટોત્‍સવ રંગે ચંગે ઉજવાશેઃ પરમ પૂજય પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજની નિશ્રામાં ચાર દિવસના ભવ્‍ય કાર્યક્રમનું કરવામાં આવેલુ આયોજનઃ જેમાં આવકાર સંમેલન, બાળ સંસ્‍કાર શિબિર, પૂજન તેમજ પારાયણ વાંચન, ભક્‍તિ સંગીત અને પાટોત્‍સવ વિધિનો સમાવેશ થાય છેઃ અંતિમ દિવસે પરમપૂજય આચાર્ય સ્‍વામી દિવ્‍ય આશીર્વાદ આપશેઃ હરિભક્‍તોનો પધારવા માટે સંચાલકોની વિનંતી

(કપિલા શાહ દ્વારા) શિકાગો, શિકાગો નજીક સ્‍ટ્રીમવુર ટાઉનના ઇરવીંગપાર્ક રોડ પર નણીનગર શ્રીસ્‍વામીનારાયણ ગાદી સંસ્‍થાન શ્રી સ્‍વામિનારાયણ મંદિર શિકાગો રરમી જુલાઇ ૨૦૧૮ના રોજ તેના સાત વર્ષ પૂર્ણ કરતુ હોવાથી આ સંસ્‍થાના સંચાલકોએ તેનો સાતમો પાટોત્‍સવ રંગેચંગે ઉજવવાનો નિર્ણય કરેલ છે અને તેની શરૂઆત ૧૯મી જુલાઇને ગુરૂવારના રોજથી થશે અને પૂર્ણાહુતિ રરમી જુલાઇને શનિવારના રોજ થશે.

સ્‍વામીનારાયણ મંદિરના પાટોત્‍સવની ઉજવણીના ચાર દિવસો દરમ્‍યાન પ્રથમ દિવસના રોજ આવકાર સંમેલનનું સાંજના છ વાગે આયોજન કરવામાં આવેલ છે તથા બીજા દિવસે બાળ સંસ્‍કાર શિબિર યોજવામાં આવશે. ત્રીજા દિવસે પૂજન તથા પારાયણ વાંચન અને તે દિવસે સાંજે ભક્‍તિ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ચોથા દિવસે પાટોત્‍સવ વિધિ સવારે ૮ વાગે કરવામાં આવશે. પરમપૂજય આચાર્ય સ્‍વામીશ્રી પોતાના દિવ્‍ય આશીર્વાદ સૌ હરિભક્‍તોને પાઠવશે. તો સર્વે હરિભક્‍તો તથા શુભેચ્‍છકોને આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે સંચાલકોએ આગ્રહભરી વિનંતી કરેલ છે.

(11:15 pm IST)