Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોગ્રેસના નેતા પી. ચિદમ્બરમનો ગુજરાત સરકાર પર આરોપઃ રાજ્યમાં કોરોનાના મોતના સાચા આંકડા નથી અપાતાઃ શું આ છે ગુજરાત મોડલ ?

ગાંધીનગર/નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે સોમવારે રૂપાણી સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી થનારા મોતનો સાચો આંકડો નથી આપવામાં આવી રહ્યો. મીડિયા રિપોર્ટનો આધાર આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોરોના સબંધિત મૃત્યુઆંકને લઈને ખોટો રિપોર્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેની પાછળ હાર્ટ એટેક કે ક્રોનિક ડાયાબિટીજને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે.

ચિદમ્બરમે જણાવ્યું કે, 17 એપ્રિલ, શુક્રવારે ગુજરાતમાં કોરોનાથી 78 લોકોના મરણ થયા હોવાની વાત કહેવામાં આવી હતી. જ્યારે મીડિયા રિપોર્ટ મુજબ, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને રાજ્યના માત્ર 7 શહેરોમાં 689 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે, શું આજ છે ગુજરાત મૉડલ?

જણાવી દઈએ કે, ગુજરાતમાં રવિવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 10,340 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે વધુ 110 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 4,04,561 પર પહોંચી ગયો છે. જ્યારે જીવલેણ કોરોના વાઈરસ 5,377 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

રાજ્યમાં 10 હજારથી વધુ નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ 3694, સુરત 2425, રાજકોટ 811, વડોદરા 509, મહેસાણા 389, જામનગર 366, ભાવનગર 198, પાટણ 158, ગાંધીનગર 150, જુનાગઢ 122, બનાસકાંઠા 112, નવસારી 104, તાપી 99, અમરેલી 98, કચ્છ 94, સુરેન્દ્રનગર 92, આણંદ 91, મહિસાગર 89, સાબરકાંઠા 82, પંચમહાલ 74, દાહોદ – ખેડા 69, વલસાડ 61, દેવભૂમિ દ્વારકા 60, ભરૂચ 59 , મોરબી 54, બોટાદ 47, ગીર સોમનાથ – નર્મદા 42, અરવલ્લી 32, છોટા ઉદેપુર 23, પોરબંદર 18, ડાંગ જિલ્લામાંથી 7 કેસો નોંધાયા છે.

 

(5:30 pm IST)