Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સ્મશાનોની ભઠ્ઠી પીગળીઃ પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા?

કોરોનાના દ્રશ્યો જોઈને ચિંતાતુર બની રહેલી ગુજરાતની જનતા સોશ્યલ મિડીયામાં પોતાનો ઉકળાટ ઠાલવી રહી છે : ઊંઘતી સરકાર, નબળો વિપક્ષ અને તરફડતી પ્રજા... ગુજરાતના લોકો હવે સરકારને કરી રહ્યા છે સવાલો

નવી દિલ્હી, તા.૧૯: ગુજરાતમાં કોરોનાને કારણે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ગામે ગામ કોરોનાને કારણે ટપોટપ લોકો મરી રહ્યા છે. મરતા અને કણસતા લોકોની પરિસ્થિતી સામે સરકાર શું કરી રહી છે અને લોકોનાં કેવા પ્રતિસાદ છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર મૂકાતી કોમેન્ટ પરથી મળી રહ્યો છે. ગુજરાતનાં રાજકારણીઓ પર હવે કોમેન્ટ થાય છે કે, હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ પીગળી ગઇ છે. પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા.

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તબીબી ભાષામાં તેને પીક હેવામાં આવે છે. જોકે આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ તે મોટો સવાલ છે. દિવાળીનાં તહેવારમાં પર લોકોએ ઉજવણી કરી એટલે કોરોનાનું સંક્રમણ વધ્યું તેવું કહેવામાં આવ્યું હતું. જોકે હવે કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારે કેમ ચૂંટણીમાં સભાઓ અને સરદ્યરો થયા. એટલે કેસ વધ્યા તેવું કહેવામાં આવતું નથી તેવી કોમેન્ટો સોશ્યલ મીડિયામાં કરી રહ્યા છે. લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઊંઘતી સરકાર, નબળો વિપક્ષ અને તરફડતી પ્રજા, પરવાળો તમારો ન્યાય કરશે

મોટા પુતળા અને મેદાનો નહિં, મોટી હોસ્પિટલ બનાવો, દુખ ત્યારે થાય છે કે, કોઇ મિત્ર ઓકિસજન અને રેમડેસિવિર માટે પુછે છેને આપી શકતા નથી, પ્રજાને રામ રાજયની આશા હતી, રામ ભરોસે રાજયની નહિ, ઇતિહાસમાં લખાશે કે હોસ્પિટલો અને સ્મશાનમાં પણ વેઇટીંગ હતું, આધુનિક ડકૈતી હો રહી હૈ ઇસે ઇસ સમય જનતા કે સેવક કહા જાતા હૈ.

લોકોનો ઉકળાટ ઠારશે નેતા ?

સોશ્યલ મીડિયા પર રાજયભરનાં નેતાઓને પ્રજા બેફામ રીતે વગોવી રહી છે. કોરોના કાળમાં પ્રજાનાં પ્રતિનિધિ કહેવાતા નેતાઓ લોકોની પડખે ઉભા રહેવાને બદલે મોં બતાવવા પણ બહાર નિકળતા નથી. સોશ્યલ મીડિયા પર લોકો ભડાસ કાઢી રહ્યા છે. જેમાં કોરોના સામે સૌથી પાંગળું તંત્ર, બસ હવે બહું થયું કામે ચડો, ગવર્મેન્ટ સિસ્ટમ ફેઇલ, પી.એમ રીલીફ ફંડમાંથી મદદ કરો, મેડિકલ ટ્રિટમેન્ટ ફ્રી કરો, લોકો મરે છે ને નેતાઓ ગોત્યા જડતા નથી, ગરીબોનાં આંસુ લુછનારા કોઇ નથી, રાજકોટમાં પનોતી બેસાડી દીધી રાજકારણીઓએ, ઓકિસજન બેડ મળતા નથી, ફેંકવાનું બંધ કરો જેવી કોમેન્ટોનો હાયળો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની છ કરોડ પ્રજાએ સરકાર અને સરકારનાં પ્રતિનિધીઓને ખોબલે ખોબલે મત આપીને સત્ત્।ા પર બેસાડ્યા છે. અમુક માનવતાવાદી ધારાસભ્યને બાદ કરતા એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય પ્રજાની વચ્ચે જોવા મળ્યો નથી. જેનો રોષ હવે સોશ્યલ મિડીયા પર ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રોષ ઠારવો પણ એટલો જ જરૂરી છે.

(4:07 pm IST)