Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

૨૮મી જૂનથી બાબા બર્ફાનીની યાત્રા શરૂ થશે

અમરનાથ યાત્રા ૫૬ દિવસ સુધી ચાલશે : અમરનાથ ગુફામાં ઠંડી સમયમાં બનેલા શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી, આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું છે

નવી દિલ્લી, તા. ૧૮ : હિન્દુઓની આસ્થાનું પ્રતીક એટલે અમરનાથ યાત્રા. ચીનના વુહાનથી દુનિયાભરમાં ફેલાયેલાં કોરોના વાયરસે સતત છેલ્લાં એક વર્ષ કરતા વધારે સમયથી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બાબા બર્ફાની દુનિયાને આ સંકટથી ઉગારશે. અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું છે. આગામી ૨૮ જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે.

આ સમાચારથી બાબાના દર્શનની રાહ જોઈને બેઠેલાં દર્શનાર્થીઓ ખુબ જ પ્રસન્ન થશે. કારણકે, હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું એક આગવું મહત્વ છે. એમાંય લોકો હવે ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યાં છેકે, તેઓ નીલકંઠ બનીને કોરોનાના વિષને નષ્ટ કરે. આ જીવલેણ વાયરસના વિષ નું શમન કરીને દુનિયાને આ મહાસંકટની ઘડીમાંથી ઉગારે.

અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલી બાબા બર્ફાનીની પહેલી અદભુત તસવીરે સામે આવી છે. શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં આ વર્ષે બાબા બર્ફાની એટલેકે, ભગવાન શિવજીનું શિવલિંગનું કદ ખુબ જ વિશાળ છે. હિન્દુ ધર્મમાં આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર ઉભી રહે છે.

મહત્ત્વનું છેકે, બાબા બર્ફાનીના દર્શન માટે લોકો વર્ષોથી રાહ જોતા હોય છે. તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના કાળમાં પુરતી સતર્કતા સાથે યાત્રા શરૂ કરવામાં આવશે. આ યાત્રા કુલ ૫૬ દિવસ સુધી ચાલશે. અમરનાથ યાત્રાના પ્રારંભ ૨૮ જૂનથી થશે અને ૨૨ ઓગસ્ટના રોજ અમરનાથની યાત્રા પુરી થશે. આ યાત્રા પહલગામ અને બાલટાલનાના માર્ગે શરૂ થશે.

બાબા બર્ફાનીના દર્શન માટે ૧લી એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં ૪૪૬ બેક્ન શાખા મારફતે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. તેમા પંજાબ નેશનલ બેક્ન, જમ્મુ-કાશ્મીર બેક્ન અને યસ બેક્ન વગેરેની શાખાઓનો સમાવેશ થાય છે. કોરોના કાળમાં પુરી સાવચેતી રાખવામાં આવી રહી છે. તેથી કોરોના કાળમાં બાબા અમરનાથની યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણકે, બાબા બર્ફાનીની ગુફા ખુબ જ ઉંચાઈ પર આવેલી છે. અને આટલી ઉંચાઈ પર પહોંચવામાં ઘણું જોખમ રહેલું છે. ઉંચાઈ પર પહોંચતા ઓક્સીજનનું લેવલ ઘટી જતું હોય છે. બાબા બર્ફાની એટલેકે, અમરનાથ યાત્રા અંગેની જાણકારી યાત્રા બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે. યાત્રાને લગતી વધુ માહિતી બોર્ડની વેબસાઈટ www. shriamarnathjishrine.com પરથી મેળવી શકાય છે. કોરોનાની મહામારીના સમયમાં દર વર્ષ કરતા વધુ સતર્કતા અને તકેદારી રાખવામાં આવી રહી છે.

(12:00 am IST)