Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જેટ સામે સંકટ : માત્ર ૪૧ વિમાન જ ઓપરેશનમાં છે

વિમાનોની સંખ્યા હજુ પણ ઘટે તેવા સંકેતો : ૧૧૯ વિમાનોની સામે માત્ર ૪૧ વિમાનો સેવામાં હોવાથી મોટી સંખ્યામાં વિમાની પ્રવાસી અટવાયા : ફ્લાઇટો રદ

નવી દિલ્હી, તા. ૧૯ : નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝની હાલત કફોડી બનેલી છે. જેટ એરવેઝમાં હવે માત્ર ૪૧ વિમાન ઓપરેશનમાં છે. વિમાનની સંખ્યામાં વધુ ઘટાડો થઇ શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આજે કહ્યું હતું કે, હાલમાં જેટ એરવેઝના માત્ર ૪૧ વિમાનો જ ઓપરેશનમાં છે. તેના વિમાનોની મૂળ સંખ્યા ૧૧૯ છે જે પૈકી એક તૃતિયાંશ વિમાનો ઉડ્ડયનમાં છે. દેવામાં ડુબેલા જેટ એરવેઝની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. દેવામાં ડુબેલી એરલાઈન્સ હાલમાં દેવાદારો અને પોતાના મોટા ભાગીદાર ઇતિહાદ એરવેઝની સાથે રેસ્ક્યુ ડિલને લઇને આશાવાદી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ  સિવિલ એવિએશનનું કહેવું છે કે, સ્થિતિ ગંભીર બનેલી છે. આગામી દિવસોમાં જેટ પોતાના વિમાનોની સંખ્યાને ઘટાડી શકે છે. રોકડ કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝે આજે વધુ ચાર વિમાનોની સેવા રોકી દીધી હતી. ભાડાપટ્ટા ઉપર લેવામાં આવેલા વિમાનોના ભાડા ચુકવી શકાયા નથી. આવી સ્થિતિમાં વિમાનોના ઓપરેશનને રોકી દેવામાં આવ્યું છે. તેના માત્ર ૪૧ વિમાનો જ ઓપરેશનમાં છે. આજ કારણસર તેમની તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝ સામે હાલ ૬૮૯૫ કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. આવી સ્થિતિમાં તે બેંકો, સપ્લાયરો, પાયલોટોને સમયસર નાણાં ચુકવી શકવામાં પણ નિષ્ફળ છે. આમાથી કેટલાક કંપનીઓએ એરલાઈન્સની સાથે સમજૂતિ રદ કરી દીધી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પાયલોટ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ જે કોઇપણ રીતે સેવા માટે જરૂરી હોય છે તે લોકો ફરજને લઇને બેદરકારી દાખવી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જેટ એરવેઝે પોતાના વિમાનોને નિયમિતરીતે મેઇન્ટેનન્સમાંથી પસાર કરવા જોઇએ. બીજી બાજુ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આજે  કહ્યું હતું કે, જેટના મામલે પોતાના મંત્રાલય સાથે વાતચત કરવામાં આવી છે. સુરેશ પ્રભુએ આ સંકેત એવા સમયે આપ્યો છે જ્યારે દેવાના ભારે બોજમાં ડુબેલી જેટ એરવેઝે મોટી સંખ્યામાં વિમાનોની સેવા રોકી દીધી છે.

આજ કારણસર તેની તમામ ફ્લાઇટો રદ થઇ ચુકી છે. એડવાન્સ બુકિંગ, ફ્લાઇટો રદ કરવાની સ્થિતિમાં રિફંડ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા ાટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે જેટને લઇને તરત રિપોર્ટ આપવા ડીજીસીએને કહેવામાં આવ્યું છે.

હવે પહેલીથી ફ્લાઇંગ બંધ કરવા પાયલોટોની ચિમકી

પગાર, અન્ય બાબતોથી પરેશાન

નવીદિલ્હી, તા. ૧૯ : જેટ એરવેઝની મુશ્કેલી સતત વધી રહી છે. જેટના પાયલોટોએ હવે પહેલી એપ્રિલથી ફ્લાઇંગ બંધ કરવા ધમકી આપી છે. સાથે સાથે બેલાઉટ અને પગાર સહિતના મુદ્દાઓને ઉકેલવા ૩૧મી માર્ચ સુધીની મહેતલ આપી દીધી છે. જેટ એરવેઝ સાથે જોડાયેલા સ્થાનિક પાયલોટોની છત્ર સંસ્થાએ પગારની ચુકવણીમાં વિલંબ અને અન્ય કારણોસર નિરાશા વ્યક્ત કરી છે. જેટ એરવેઝ ડોમેસ્ટિક પાયલોટ બોડી નેશનલ એવિએટર્સ ગિલ્ડ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય આજે લેવામાં આવ્યો હતો. આ બેઠક ૯૦ મિનિટ સુધી ચાલી હતી. આ એરલાઈનમાં ૧૦૦૦ જેટલા સ્થાનિક પાયલોટો જોડાયેલા છે. એક દશક અગાઉ ગિલ્ડની રચના કરવામાં આવ્યા બાદ આ છત્ર સંસ્થા હેઠળ એરલાઈનોમાં જોડાયેલા ૧૦૦૦ પાયલોટો છે. આવી સ્થિતિમાં જેટની મુશ્કેલી વધી શકે છે.

(8:34 pm IST)