Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પારીકર સર્જિકલ સ્ટ્રાઇક વેળા સંરક્ષણ પ્રધાન હતા

પારીકર નાની વયમાં જ સંઘમાં જોડાઈ ગયા હતા : મોદીને વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે ખુબ પહેલા પારીકરે જાહેર કર્યા : શક્તિશાળી નેતા તરીકે છાપ હતી

પણજી, તા. ૧૭ : વરિષ્ઠ રાજકારણી અને ભાજપના નેતા મનોહર પારીકરનું અવસાન થતાં તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. મનોહર પારીકરની રાજકીય કેરિયર ખુબ જ શાનદાર રહી હતી. હાલમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. તમામ લોકોને આ અંગેની માહિતી નથી કે, ગોવામાં ભાજપ સંસદીય ચૂંટણી સંમેલનમાં ૨૦૧૩ પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પારીકરે સુચવ્યું હતું. ત્યારબાદ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે સંરક્ષણ મંત્રી તરીકે પણ મનોહર પારીકરે સેવા આપી હતી. ૨૦૧૪થી લઇને ૨૦૧૭ દરમિયાન મનોહર પારીકર ભારતના સંરક્ષણમંત્રી રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાના પૂર્વ સભ્ય પણ હતા. ૨૭મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ગોવા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, મનોહર પારીકર પેનક્રિયાટીક કેન્સરથી ગ્રસ્ત થયેલા છે. અમેરિકા, દેશના જુદા જુદા ભાગોમાં મનોહર પારીકરે કેન્સરની સારવાર લીધી હતી પરંતુ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો રહ્યો ન હતો. પોતાના મૃત્યુ સુધી મનોહર પારીકર ફરજ પર મક્કમ રહ્યા હતા અને તબિયત ખરાબ હોવા છતાં પણ સતત સેવા આપી રહ્યા હતા. ઉરીમાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારબાદ ભારત દ્વારા પોકમાં જે વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હત ત્યારે મનોહર પારીકર દેશના સંરક્ષણ મંત્રી તરીકે હતા. તેમની રણનીતિ પણ ખુબ અસરકારક રહી હતી. ગોવાના માફુસામાં જન્મેલા મનોહર પારીકરે મારગાંવમાં લોયલા હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો હતો. મરાઠીમાં સેકન્ડરી એજ્યુકેશનમાં અભ્યાસ કર્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (મુંબઈ)માંથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયા હતા. ૧૯૭૮માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમને ૨૦૦૧માં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મુંબઇ દ્વારા ખાસ સન્માન અપાયું હતું. મનોહર પારીકર નાની વયમાં જ સંઘમાં જોડાઈ ગયા હતા. સ્કુલના અંતિમ વર્ષના ગાળામાં જ તેઓ મુખિયા શિક્ષક બની ગયા હતા. આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ મનોહર પારીકર માફુસામાં સંઘમાં જોડાઈ ગયા હતા અને ખાનગી કારોબાર પણ કરતા હતા. ૨૬ વર્ષની વયમાં સંઘ ચાલક બની ગયા હતા. તેઓ સંઘના નોર્થ ગોવા યુનિટના સક્રિય સભ્ય રહ્યા હતા. રામજન્મભૂમિ મુુવમેન્ટના ચાવીરુપ આયોજક તરીકે રહ્યા હતા. મનોહર પારીકર અનેક હોદ્દા પર સક્રિય રહ્યા હતા. મનોહર પારીકર નરેન્દ્ર મોદીના સૌથી નજીકના વિશ્વાસુ તરીકે રહ્યા હતા. ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં ભાજપે ગોવામાં બંને સીટો જીતી હતી. ત્યારબાદ પારીકરને ખસેડીને નવેમ્બર ૨૦૧૪માં દિલ્હી લાવવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકારમાં જોડાયા હતા. ગોવામાં લક્ષ્મીકાંત પારસેકરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૧૪માં પારીકર સંરક્ષણમંત્રી બન્યા હતા. મનોહર પારીકર અનેક હોદ્દા પર રહ્યા હતા અને એક શક્તિશાળી નેતા તરીકે તેમની છાપ હતી.

મનોહર પારીકર પ્રોફાઈલ

નામ               :     મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પારીકર

જન્મ તારીખ       :     ૧૩મી ડિસેમ્બર ૧૯૫૫

જન્મ સ્થળ        :     માફુસા, ગોવા

અવસાન તારીખ   :     ૧૭મી માર્ચ ૨૦૧૯

રાજકીય પાર્ટી     :     ભાજપ

પત્ની              :     મેધા પારીકર (૧૯૮૧-૨૦૦૧)

બાળકો            :     ઉત્પલ પારીકર, અભિજાત પારીકર

નિવાસસ્થાન       :     પણજી, ગોવા

શિક્ષણ             :     આઈઆઈટી (મુંબઈ)

સિદ્ધિ              :     મોદી સરકારમાં સંરક્ષણમંત્રી

અન્ય સિદ્ધિ        :     ગોવાના મુખ્યમંત્રી

(12:00 am IST)