Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ક્રિકેટ મેચ જીત્યા પછી દિનેશ કાર્તિક સોશ્યલ મીડિયામાં છવાઇ ગયોઃ અમિતાભે ટ્વીટમાં અભિનંદન આપ્યા બાદ ભુલ સુધારી લીધી !

મુંબઈ: ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગના કારણે ભારત આ મેચ જીતી ગયુ હતું. જેથી ભારતીય ક્રિકેટ ટીમ અને દિનેશ કાર્તિક સોશ્યલ મીડિયામાં છવાયેલા રહ્યા હતાં. અમિતાભ બચ્ચને પણ ક્રિકેટર દિનેશ કાર્તિક અને ભારતીય ટીમને ટ્વીટ કરીને શૂભેચ્‍છા પાઠવી હતી.

નિદાહસ ટ્રોફીની મેચ પછી ટીમ ઈન્ડિયાના વખાણ કરતી વખતે અમિતાભ બચ્ચનથી એક મોટી ભૂલ થઈ ગઈ. પણ પછીથી તેમણે મેન ઓફ મેચ દિનેશ કાર્તિકની માફી પણ માંગી હતી. ઉલ્લેખનીય છે કે કાર્તિકે છેલ્લા બોલમાં છગ્ગો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

અમિતાભે ટ્વિટમાં લખ્યુ હતું કે, શાનદાર મેચ, ભારતને 2 ઓવરમાં જીત માટે 24 રનની જરુર હતી અને કાર્તિકે કમાલની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી. ટીમને શુભકામનાઓ.

અમિતાભે થોડી વાર પછી પોતાની ભૂલ સુધારીને લખ્યું કે, દિનેશ કાર્તિકની માફી માંગવા માંગીશ. અંતિમ બે ઓવરમાં ભારતને 24 નહીં, 34 રનની જરૂર હતી.

ગઈકાલે મેચ જીત્યા પછી સોશિયલ મીડિયા પર દિનેશ કાર્તિક છવાઈ ગયો હતો. રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સ અને ક્રિકેટ ફેન્સે તેના ભરપેટ વખાણ કર્યા હતા.

(5:37 pm IST)