Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સહુને સમાન તકઃ ટેક્‍સ - ત્રાસવાદ દૂર કરવાનું વચનઃ કોંગ્રેસનો આર્થિક એજન્‍ડા

ગરીબો - ખેડૂતો - મધ્‍યમવર્ગ તરફી પક્ષ તરીકે પ્રસ્‍થાપિત કરવા પ્રયાસ

નવી દિલ્‍હી તા. ૧૯ : કોંગ્રેસે તેના ત્રણ દિવસીય અધિવેશન દરમિયાન તેનો આર્થિક એજન્‍ડા જાહેર કર્યો છે જેમાં તેણે સમાન તક આપવાનું અને ટેક્‍સ ત્રાસવાદ દૂર કરવાનું વચન આપ્‍યું છે. મોદી સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતાં કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે સરકારે ખામીયુક્‍ત આર્થિક નીતિ અપનાવીને લોકોને ગરીબીમાં ધકેલ્‍યા છે.

કોંગ્રેસે પોતાના આર્થિક ઠરાવમાં રાહુલ ગાંધીની સૂટ બૂટ કી સરકાર'ની લાઇન પકડી રાખી છે અને પોતાને ગરીબો તરફી, ખેડૂતો તરફી અને મધ્‍યમવર્ગ તરફી પક્ષ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે આર્થિક નીતિના પાંચ સિદ્ધાંત અલગ તારવ્‍યા છે જેમાં તમામ માટે પ્રગતિ, મધ્‍યમવર્ગલક્ષી નીતિ, શિક્ષણ, આરોગ્‍યમાં જંગી રોકાણ તથા બિઝનેસ કોન્‍ફિડન્‍સ વધારવાનાં પગલાં સામેલ છે.

આ આર્થિક એજન્‍ડા દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્‍વ હેઠળ કોંગ્રેસે પોતાની જાતને ઇંદિરા ગાંધીની કોંગ્રેસ નજીક મૂકવાનો પ્રયાસ કર્યો છે જેણે સમાજવાદી નીતિ અપનાવી છે. ઠરાવમાં જણાવાયું હતું કે મધ્‍યમ આવક ધરાવતા વિકસિત દેશ બનવાની દિશામાં ગરીબોનો ઉદ્ધાર કરવામાં આવશે. તેમાં વિશાળ, વાઇબ્રન્‍ટ અને ઉત્‍પાદક મિડલ ક્‍લાસની રચના થશે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે મોદી સરકારની નીતિઓની ટીકા કરી હતી અને જીએસટી તથા નોટબંધીને ઉતાવળિયાં પગલાં ગણાવ્‍યાં હતાં.

(2:03 pm IST)