Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભારતની ચેતવણીથી પાક ફફડ્યું : ચર્ચા માટે તૈયાર

પુલવામા હુમલામાં હાથ હોવાનો ઇમરાનનો ઇન્કાર : વિશ્વને હજુ પણ ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના પ્રયાસો ત્રાસવાદીઓને પકડવાના પ્રશ્ને ઇમરાને કોઇ વાત ન કરી

ઇસ્લમાબાદ, તા. ૧૯ : પુલવામા ત્રાસવાદી હુમલાને લઇને ભારતમાં જોરદાર આક્રોશ છે ત્યારે પાકિસ્તાને આ મામલામાં ભારતને પરોક્ષરીતે ખુલ્લી ધમકી પણ આપી દીધી છે. સાથે સાથે ભારતની ચેતવણીથી જ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને આજે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. ઇમરાને કહ્યું હતું કે, ભારતે કોઇપણ પુરાવા વગર ઇસ્લામાબાદ ઉપર આક્ષેપો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ભારત પાકિસ્તાન ઉપર લશ્કરી કાર્યવાી કરશે તો જવાબ આપવામાં આવશે. પોતાના નિવેદનના થોડાક સમય બાદ જ ભારતમાં વધુ નારાજગી જોવા મળી હતી. જો કે, ઇમરાન ખાને ભારતની ચેતવણી બાદ ભયભીત હોય તેમ સંકેત પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પોતે ત્રાસવાદીઓના શિકારમાં છે. અબજો રૂપિયા આતંકવાદી ગતિવિધિઓના કારણે ગુમાવ્યા છે. છેલ્લા ૧૫ વર્ષમાં ૭૦૦૦૦ પાકિસ્તાની ત્રાસવાદના કારણે મૃત્યુ પામ્યા છે. ત્રાસવાદથી સૌથી વધારે નુકસાન પાકિસ્તાનને થયું છે. પાકિસ્તાન પોતે આતંક ઉપર વાત કરવા માટે તૈયાર છે. જ્યારે પણ અમે ભારત સાથે વાતચીત માટે ઓફર કરીએ છીએ ત્યારે ભારત દ્વારા કહેવામાં આવે છે કે, પહેલા આતંકવાદને ખતમ કરવામાં આવે. અમે ત્રાસવાદ ઉપર પણ વાતચીત માટે તૈયાર છે. ઇમરાનના નિવેદનથી લાગી રહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન પાકિસ્તાની સેનાના નિવેદનને વાંચી રહ્યા છે. ઇમરાન ખાન આત્મવિશ્વાસથી ભરાયેલા દેખાઈ રહ્યા ન હતા. ઇમરાને કહ્યું હતું કે, કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓ કેમ થઇ રહી છે તેને લઇને વિચારવાની જરૂર છે. અમે હુમલાઓ કેમ કરાવીશું. અમને હુમલાથી શુ ફાયદો થશે. પાકિસ્તાન ત્રાસવાદના સૌથી અસરગ્રસ્ત દેશો પૈકી એક છે. નવું પાકિસ્તાન આતંકવાદના ખાત્માની ઇચ્છા રાખે છે. પાકિસ્તાનના નામ સંબોધનમાં ઇમરાને કહ્યું હતું કે, જ્યારે સાઉદીના પ્રિન્સ અમારા દેશના પ્રવાસે હતા ત્યારે પાકિસ્તાન આવું કરશે તેમ વિચારી શકાય નહીં. કાશ્મીરમાં કોઇ ઘટના બને ત્યારે તેને જવાબદાર ઠેરવવાની બાબત યોગ્ય દેખાતી નથી. પાકિસ્તાનને હમેશા દોષિત ઠેરવવાની બાબત યોગ્ય દેખાતી નથી. ઇમરાને ક્હયું હતું કે, ભારતમાં ચૂંટણી વર્ષ છે. ત્યાં નેતાઓ પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, જો પાકિસ્તાન પર કોઇ હુમલા થશે તો જવાબ પણ આપવામાં આવશે અને આ લડાઈ લાંબી પુણ થઇ શકે છે.

(7:53 pm IST)