Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મુંબઇમાં ડાન્સબાર ચાલુ નહીં થાય, વટહુકમ બહાર પાડશું

સરકાર રાજ્યની સંસ્કૃતિના સંરક્ષણ અને જનહિત માટે સરકાર કટિબધ્ધ : રાજ્યના પ્રધાન

મુંબઇ તા. ૧૯ : મહારાષ્ટ્રમાં ડાન્સબાર ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટના ગુરુવારના ચુકાદા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની રાજય સરકાર ડાન્સબારને ફરી શરૂ થતા અટકાવવા માટે વટહુકમ બહાર પાડવાનો વિચાર કરી રહી છે. ડાન્સબાર પર નિયમન હોવું જોઇએ, નહીં કે સંપૂર્ણ પ્રતિબંધ, એમ જણાવતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ડાન્સબાર શરૂ કરવા માટે લાઇસન્સ ન આપવા પર મૂકેલા પ્રતિબંધ સંબંધિત ૨૦૧૬ના કાયદાની અમુક જોગવાઇએ રદ કરી હતી. રાજયની સંસ્કૃતિ જાળવી રાખવા માટે ડાન્સબારને શરૂ થતા અટકાવવા માટે સરકાર વટહુકમ બહાર પાડવા અંગે વિચારી રહી છે, એમ આયોજન અને નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે શુક્રવારે જણાવ્યું હતું.

 

રાજય સરકાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માન આપે છે, પરંતુ તેની સાથે રાજયમાં ડાન્સબાર ફરી ચાલુ થવા નહીં દેવાય એવું વલણ પણ ધરાવે છે. આગામી અઠવાડિયે કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

'લોકોના હિત માટે અને રાજયની સંસ્કૃતિના સંરક્ષણ માટે ડાન્સબારને શરૂ થતા અટકાવવા માટે અમે વટહુકમ બહાર પાડતા પણ અચકાશું નહીં', એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કોર્ટનો લેખિત આદેશ મળ્યા બાદ અમારા વકીલો તેનો અભ્યાસ કરશે તથા તેમની દરખાસ્તોને આધારે કાયદામાં ફેરફાર કરી તેને વધુ કડક બનાવીને આગામી બે અઠવાડિયામાં વટહુકમ બહાર પાડવામાં આવશે.

તે વટહુકમ સુપ્રીમના આદેશના ભંગ સમાન હશે?, એમ પૂછતા મુનગંટીવારે કહ્યું હતું કે કોર્ટે ડાન્સબારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ડાન્સબારની વિરુદ્ઘના કાયદા માટે દરેક પક્ષે સાથે આવવું જોઇએ.

ડાન્સબારના બારબાળા પર પૈસા ઉડાવવાને બદલે તેમને ટીપ આપવી, તેમાં સીસીટીવી કેમેરા ન બેસાડવા વગેરે શરતો મૂકીને સુપ્રીમ કોર્ટે ૨૦૧૬ના કાયદાની અમુક પ્રતિબંધિત જોગવાઇઓ રદ કરી હતી.(૨૧.૪)

 

(10:40 am IST)