Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોદી મેજિક યથાવતઃ આજે ચૂંટણી થાય તો NDAની વાપસી

કોંગ્રેસે ૨૦૧૪ કરતાં સ્થિતિ થોડી સુધારી પણ તે હજુ ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં નથીઃ સર્વેઃ NDAને ૩૩૫, યુપીએને ૮૯, અન્યોને ૧૧૯ બેઠકો મળેઃ ૬૨.૭ ટકા લોકોની પસંદ મોદીઃ ૧૨.૬ ટકા લોકો રાહુલને PM તરીકે જોવા માંગે છે

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં મોદી લહેર હજી પણ યથાવત્ રહેવાનો સંકેત મળ્યો છે. જો આજે ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ જંગી બહુમતની સાથે ફરી સરકાર બનાવી શકે છે. ૨૦૧૪ની સરખામણીએ કોંગ્રેસની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજી પણ ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં તે નથી. આ વાત એક સર્વેમાં આવી છે, જેનાથી 'મૂડ ઓફ ધ નેશન' એટલે કે 'જનતાનો મિજાજ' જાણી શકાય છે.

સી વોટર તરફથી કરવામાં આવેલો સર્વે ગત ૩ ડિસેમ્બરથી આ વર્ષે ૩ જાન્યુઆરી સુધી તમામ ૫૪૩ લોકસભા બેઠકોના ૧૦ હજારથી વધુ લોકો વચ્ચે જઈને કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર, સમગ્ર દેશમાં મોદી જ કેન્દ્રમાં છે અને તેઓ એકલા ભાજપની ગાડી ખેંચી રહ્યા છે.

સર્વે અનુસાર, ઉત્ત્।ર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પર ભાજપ પોતાના સાથીઓ સાથે ૬૦ બેઠકો જીતવામાં સફળ થઈ શકે છે, જયારે સમાજવાદી પાર્ટી (એસપી)ને ૧૬ અને કોંગ્રેસ-બીએસપીને બે-બે બેઠક મળવાનું અનુમાન વ્યકત કરાયું છે. જોકે આ સર્વેમાં માનવામાં આવ્યું છે કે, એસપી-કોંગ્રેસ લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં એનડીએને ૭૩, એસપીને પાંચ અને કોંગ્રેસને બે બેઠક મળી હતી.

સી વોટરના આ સર્વેના આંકડા ભાજપ માટે રાહતના સમાચાર છે, પરંતુ આ સાથે બીજી ઘણી બાબતો ચિંતાજનક છે. ઘણા લોકો માને છે કે, જમીન સ્તરે મોદી સરકારે તેમના વાયદા પૂરા કર્યા નથી, જે ૨૦૧૪માં કર્યા હતા અને અત્યારથી ૨૦૧૯ સુધી મોદીની આગેવાનીમાં ભાજપ કેટલી સરસાઈ બનાવવામાં સફળ થાય છે કે નિષ્ફળ, તેઓ કેટલું કામ કરે છે તેના પર નિર્ભર છે, કારણ કે પાર્ટીના સમર્થકોમાં પણ એ વાત અંગે નિરાશા છે કે, કામ અપેક્ષિત સ્તરે થયું નથી. સી વોટરના સંસ્થાપક યશવંત દેશમુખ કહે છે કે, હવે સરકાર સામે ત્રણ મોટા પડકાર છે – ઇકોનોમી, ઇકોનોમી અને માત્ર ઇકોનોમી. આ મારચે પર્ફોર્મ કરવું જ પડશે. તેમાં યુવાનોને નોકરી અને ખેડૂતોની સમસ્યા દૂર કરવી સૌથી મોટા પડકાર છે. જયારે તેમની ત્રણ સૌથી મોટી મજબૂતાઈ છે – મોદી, મોદી અને મોદી.

૧. દેશમાં મોદી લહેર સરકારનાં સાડાં ત્રણ વર્ષ બાદ પણ યથાવત્ છે. ૨૦૧૪ જેવી સ્થિતિ જ રહેશે. કોંગ્રેસની સ્થિતિમાં થોડો સુધારો થશે.

૨. ભાજપ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, તેના સમર્થક માની રહ્યા છે કે, જમીન પર કામ અપેક્ષા મુજબ થયું નથી અને સરકાર પાસે હવે એક વર્ષ જ બચ્યું છે.

૩. ૨૦૧૪માં જે રાજયોમાં ભાજપને મોટી સફળતા મળી હતી, ત્યાં બેઠકો થોડી ઓછી થઈ રહી છે, પરંતુ પાર્ટી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને નોર્થ-ઈસ્ટમાં પકડ મજબૂત કરવામાં સફળ દેખાઈ રહી છે.

૪. દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે ચિંતાની બાબત છે. દિલ્હીની તમામ સાત લોકસભા બેઠક ભાજપ બચાવતો નજરે પડે છે. ૨૦૧૪માં ભાજપે કલીન સ્વિપ કરી હતી, પરંતુ ત્યાર બાદ 'આપ'એ વિધાનસભા ચૂંટણીમાં બાજી મારી લીધી હતી.

૫. ભ્રષ્ટાચાર વિરુદ્ઘ લેવાયેલાં પગલાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને જાળવી રાખવામાં સૌથી મોટું ફેકટર સાબિત થઈ રહ્યાં છે. લોકો વર્તમાન સરકારને ભ્રષ્ટાચાર સામે લડનારી સરકાર માની રહ્યા છે.

૬. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પણ લાંબો સંઘર્ષ કરવો પડશે. વડાપ્રધાન મોદી સામે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો નીચે છે.

૭. જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલાં સ્થાનિક ઉમેદવારો સાથે મહાગઠબંધન બનાવવામાં સફળ રહી તો તસવીર ઊલટી પડી શકે છે. ભાજપને આ ગઠબંધનથી જોખમ છે.

૮. તામિલનાડુમાં જયલલિતાના નિધન બાદ એઆઈએડીએમકેની સ્થિતિ વધુ નબળી જણાઈ રહી છે. અહીં ડીએમકેને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. રજનીકાંતની એન્ટ્રીની પણ ખાસ અસર નહિ દેખાય.

૯. બિહારમાં નીતીશ અને ભાજપનું ગઠબંધન કારગર સાબિત થઈ શકે છે. ૪૦થી ૩૬ બેઠકો તેઓ જીતી શકે છે. રામવિલાસ પાસવાનની એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીનું ગઠબંધન પહેલેથી જ ભાજપ પાસે છે.

૧૦. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ જેવાં રાજયોમાં હાલ ભાજપ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ૨૦૧૪ની સરખામણીએ આ રાજયોમાં કેટલીક બેઠકોનું નુકસાન થઈ શકે છે. કર્ણાટકમાં ૨૦૧૪ની સરખામણીએ વધુ બેઠક મળવાનું અનુમાન છે.(૨૧.૪)

અત્યારે ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળે?

એનડીએ

૩૩૫ બેઠકો, ૩૯.૭ ટકા વોટ

ભાજપ

૨૭૯, સાથી પક્ષોઃ ૫૬ બેઠકો

યુપીએ

૮૯ બેઠકો, ૨૩.૬ ટકા વોટ

કોંગ્રેસ

૬૦ બેઠકો, સાથી પક્ષોઃ ૨૯ બેઠકો

અન્ય

૧૧૯ બેઠકો

વડાપ્રધાન પદ માટે લોકપ્રિય ઉમેદવાર

નરેન્દ્ર મોદી

૬૨.૭ ટકા

રાહુલ ગાંધી

૧૨.૬ ટકા

સોનિયા ગાંધી

૪.૪ ટકા

ડો. મનમોહન સિંહ

૪.૨ ટકા

અરવિંદ કેજરીવાલ

૧.૬ ટકા

(9:19 am IST)