Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની સૂચિત યાત્રા મુલતવી રહી

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત વચ્ચે યાત્રા રદ : સરકાર રચનાની પ્રક્રિયામાં વિલંબ થતાં હાલ યાત્રા ટાળી

મુંબઈ, તા. ૧૮ : મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચના કરવા એનસીપી કોર કમિટિની બેઠકે તૈયારી દર્શાવ્યા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા અયોધ્યાની તેમની ૨૪મી નવેમ્બરની સૂચિત યાત્રાને મોકૂફ કરી દીધી છે. શિવસેનાના નેતા દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. એનસીપી પ્રમુખ શરદ પવાર સરકારની રચના પર ચર્ચા કરવા આજે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરે દ્વારા ૨૪મી નવેમ્બરના દિવસે ઉત્તરપ્રદેશના મંદિર શહેર અયોધ્યામાં જવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારની રચના કરવાની પ્રક્રિયા વધારે સમય લઇ રહી છે. ત્રણ પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ હાલમાં બેઠકો યોજી રહ્યા છે. શિવસેનાના નેતાનું કહેવું છે કે, સરકાર રચવાની દિશામાં નવી નવી પહેલ થઇ રહી છે. નવા ઘટનાક્રમના અનુસંધાનમાં ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાની તેમની સૂચિત યાત્રાને મોકૂફ કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ ધ્યાન દોર્યું હતું કે, અયોધ્યામાં તેમની યાત્રા મોડેથી થઇ શકે છે.

                   બીજી બાજુ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા શિવસેનાના નેતાઓનું કહેવું છે કે,  સુરક્ષા સંસ્થાઓ દ્વારા પહેલાથી જ અયોધ્યા અને રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેવા રાજકીય પક્ષોના નેતાઓને મંજુરી આપવાનો ઇન્કાર કર્યો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ સ્થળ ઉપર મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સાથે સાથે મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને અન્યત્ર પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. મહારાષ્ટ્રમાં હાલ સેન્ટ્રલ રુલ લાગેલુ છે. કોઇપણ પાર્ટી અથવા ગઠબંધનને સરકાર રચવાની તક મળી શકી નથી. કારણ કે, કોઇની પાસે પુરતી સંખ્યામાં સભ્યો દેખાઈ રહ્યા નથી. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને ૧૯ દિવસનો ગાળો થયો હોવા છતાં સરકાર રચવામાં સફળતા મળી રહી નથી. ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને બહુમતિ હાંસલ કરી લીધી છે પરંતુ તેમની વચ્ચે જારી ખેંચતાણના લીધે સરકારની રચના થઇ શકી નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૦૫ અને શિવસેનાએ ૫૬ સીટો જીતી છે. કોંગ્રેસ અને એનસીપીએ ક્રમશઃ ૪૪ અને ૫૪ સીટો જીતી છે. શિવસેનાએ મોડેથી નરેન્દ્ર મોદી સરકારમાંથી તેમના એકમાત્ર પ્રધાન અરવિંદ સાવંતને સંસદના શિયાળુ સત્ર પહેલા જ પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધનનો અંત થઇ ચુક્યો છે. સંસદમાં પણ શિવસેના વિપક્ષી બેંચમાં દેખાઈ રહી છે.

(7:29 pm IST)