Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાજ્યસભા દેશને દિશા દર્શાવનાર સન તરીકે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ દાવો

રાજ્યસભાના ઐતિહાસિક ૨૫૦માં સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું : રાજ્યસભાએ જ દેશને વધુ દૂરદર્શી બનાવ્યું છે અને સત્તાપક્ષને નિરંકુશ થતાં રોકવાનું કામ કર્યું છે : ગૃહમાં કલમ ૩૭૦ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો

નવીદિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં ઐતિહાસિક ૨૫૦માં સત્રને સંબોધન કર્યું હતું જે દરમિયાન મોદીએ સંસદના ઉચ્ચ ગૃહને ભારતના બંધારણીય માળખાના આત્મા તરીકે ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતુંકે, લોકસભા જ્યાં જમીન સાથે જોડાયેલી છે ત્યારે રાજ્યસભા દૂર સુધી નિહાળી શકે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રાજ્યસભા સેકન્ડ હાઉસ છે. સેકન્ડરી નથી. ભારતના વિકાસ માટે તેને સપોર્ટિવ હાઉસ રહે તે જરૂરી છે. આ ગાળા દરમિયાન તેઓએ એનસીપી અને બીજુ જનતા દળની પ્રશંસા કરી હતી. તેમના સાંસદ ક્યારે પણ ગૃહની વચ્ચોવચ આવી જતાં નથી. તેમણે કહ્યું હતું કે, ગૃહની વચ્ચોવચ પહોંચ્યા વગર પણ દેશના લોકોના મન જીતી શકાય છે. મોદીએ એનસીપીની પ્રશંસા એવા સમયે કરી છે જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને મડાગાંઠની સ્થિતિ છે. મોદીએ કહ્યું હતું કે, એનસીપી અને બીજેડી બંને પાસેથી ઘણુ શિખવા જેવું છે. ભાજપને પણ શિખવા જેવું છે. મોદીએ ભલે સંસદીય કામકાજને લઇને એનસીપીની પ્રશંસા કરી છે પરંતુ આને લઇને સસ્પેન્સની સ્થિતિ વધી ગઈ છે.

                      મોદીના આ નિવેદનથી ભાજપે એનસીપીની સાથે મિત્રતા કરવાના સંકેત આપી દીધા છે. આ સંકેતોના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભાજપ અથવા તો એનસીપી તરફથી કોઇ સંકેત આપવામાં આવ્યા નથી. એનસીપી અને બીજેડીથી તમામને ઘણુ શિખવા જેવું છે. મોદીએ પોતાના સંબોધનમાં જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. બાબા સાહેબ આંબેડકર, કલમ ૩૭૦ અને અન્ય મુદ્દા ઉઠાવ્યા હતા. સ્થાયિત્વ અને વિવિધતા રાજ્યસભાને બે ખાસ પાસાઓ તરીકે છે. મોદીએ આ સંબોધન દરમિયાન જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. આજ ગૃહમાં જીએસટીના રુપમાં વન નેશન વન ટેક્સને મંજુરી આપીને દેશને એક નવી દિશા આપી છે. દેશની એકતા અને અખંડતા માટે કલમ ૩૭૦ અને ૩૫એની નાબૂદીની શરૂઆત પણ અહીંથી જ થઇ હતી. ત્યારબાદ લોકસભામાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૨૦૦૩માં રાજ્યસભાના ૨૦૦માં સત્ર દરમિયાન કહ્યું હતું કે, કોઇપણ અમારા સેકન્ડ હાઉસને સેકન્ડરી હાઉસ બનાવવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. છેલ્લા પાંચ વર્ષના સમયને જોવામાં આવે તો આ ગૃહમાં ત્રિપલ તલાકનું બિલ પાસ કરીને મહિલાઓના સશક્તિકરણની દિશામાં મોટી પહેલ કરી દીધી છે.

                      આજ ગૃહમાં સામાન્ય વર્ગના ગરીબો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કોઇપણરીતે ભેદભાવની સ્થિતિ રહી નથી. અમારા બંધારણના ઘડવૈયાઓ દ્વારા અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે મુજબ અમારી પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છીએ. રાજ્યોનું કલ્યાણ થાય તે પણ અમારી જવાબદારી રહેલી છે. રાજ્યો અને કેન્દ્ર સાથે મળીને દેશના વિકાસને આગળ વધારી શકાય છે. મોદીએ બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કર્યા હતા. અમારા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણે રાજ્યસભામાં એક વખતે કહ્યું હતું કે, અમારા વ્યવહાર અને વિચારો બંને ગૃહોવાળી સંસદીય વ્યવસ્થાના મહત્વને સાબિત કરે છે.

(7:21 pm IST)