Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કોમામાંથી જાગેલા યુવાનની જુબાનીથી ૨ જણને સજા થઈ

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી ઘટના : યુવતીને લઈને થયેલા ઝગડામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીને તેના બે મિત્રોએ ધાબા પરથી ફેંકી દીધો હતો

બેંગલુરુ,તા.૧૭ : કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી એક ઘટનામાં કોમામાંથી જાગેલા એક યુવકની જુબાનીના આધારે તેને ધાબેથી ફેંકી દેનારા બે આઈટી એન્જિનિયર્સને ૭ વર્ષની જેલની સજા થઈ છે. ૨૦૧૦માં યુવક કોલેજમાં હતો ત્યારે આ ઘટના બની હતી. એક છોકરી બાબતે થયેલી બબાલમાં તેની જ કોલેજમાં ભણતા બે લોકોએ તેને ધાબેથી ફેંકી દેતા યુવકના માથામાં ગંભીર ઈજા થતાં તે કોમામાં સરી પડ્યો હતો.

ઘટનાનો ભોગ બનનારો યુવક કોલકાતાનો નિવાસી શૌવીક ચેટર્જી હતો, જે એક વર્ષ બાદ કોમામાંથી બહાર આવ્યો હતો. તેની સાથે જે થયું હતું તે તેણે તેના પરિવારજનોને જણાવ્યું હતું. જેના આધારે તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે સ્કેચને આધારે શૌવિક સાથે કોલેજમાં ભણતા જિતેન્દ્ર કુમાર સાહુ અને શશાંક દાસની ધરપકડ કરી હતી.

શૌવિકને ધાબેથી ફેંકવામાં આ બંને શખ્સોએ બીજા બે લોકોની પણ મદદ લીધી હતી, જેઓ હજુય પોલીસની પકડની બહાર છે. બીજી તરફ, આસામનો શશાંક દાસ દિલ્હીની એક પ્રાઈવેટ બેંકમાં નોકરીએ લાગી ગયો હતો, અને ઓડિશાનો જિતેન્દ્ર સાહુ બેંગલુરુમાં જ એક મોટી આઈટી કંપનીમાં નોકરી કરતો હતો.જ આ જીવલેણ હુમલાના દસ વર્ષ બાદ આજે પણ પથારીવશ છે. દોષીત શુશાંક દાસ શૌવિકના જ ક્લાસમાં હતો, જ્યારે જિતેન્દ્ર સાહુ પીજીનો સ્ટૂડન્ટ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચેટર્જી બીઈના ત્રીજા સેમેસ્ટરમાં ભણતો હતો, અને તે તેની જ કેમ્પસમાં આવેલી મહિલા કોલેજમાં ભણતી સોનાલી નામની યુવતી સાથે ખાસ દોસ્તી હતી. શશાંક પણ સોનાલીને પસંદ કરતો હતો, પરંતુ એકવાર શશાંકે સોનાલી વિશે અણછાજતી ટિપ્પણી કરતા શૌવિકે શશાંક સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા શશાંકે આ અંગે પોતાના દોસ્ત અને સીનિયર એવા જિતેન્દ્ર સાહુ સાથે વાત કરી હતી. શશાંકે ૬ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ સવારે ૯ વાગ્યે શૌવિકને બોલાવ્યો હતો, અને પોતાના વર્તન અંગે માફી માગી હતી. તેણે જ શૌવિકને ધાબા પર આવવા કહ્યું હતું, જ્યાં તેના પર શશાંક અને જિતેન્દ્ર ઉપરાંત બીજા બે અજાણ્યા લોકો દ્વારા હુમલો કરાયો હતો અને પછી ધાબેથી ફેંકી દેવાયો હતો.

આ હુમલા બાદ શૌવિક કોમામાં સરી પડ્યો હતો. બેંગલુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની બે મહિના સારવાર ચાલી હતી, અને પછી તેને તેના માતાપિતા કોલકાતા લઈ ગયા હતા. આખરે આઠ મહિના બાદ ઓગષ્ટ ૨૦૧૧માં શૌવિક ભાનમાં આવ્યો હતો, અને તેની સાથે જે થયું હતું તે અંગે જણાવ્યું હતું. આખરે ૨૩ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ કર્ણાટક પોલીસે શૌવિકના પિતાની ફરિયાદના આધારે કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. ૨૦૧૨માં શશાંક અને જિતેન્દ્રની ધરપકડ થઈ હતી, અને ૨૦૧૨માં બંને જામીન પર છૂટ્યા હતા.

(12:00 am IST)