Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાજસ્‍થાનના જયપુરમાં ઝીકા વાઇરસથી ચેપ લાગનારા લોકોની સંખ્‍યા 100: ફરવા જાવ તો કાળજી રાખજો

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ઝીકા વાઈરસથી ચેપ લાગનારા લોકોની સંખ્યા વધી રહી છે. બુધવારે ઝીકાનો ચેપ લાગેલા લોકોની સંખ્યા 100 થઈ ગઈ છે. આવામાં સ્થાનિક તંત્ર વધારે સતર્ક થઈ ગયું છે. બુધવારે કેન્દ્રએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની એક ટીમને જયપુર મોકલી છે જેથી નિયંત્રણ ઉપાયમાં ઉતાવળ કરી શકાય.

નમુના લેવાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પ્રભાવિત 100 લોકોમાં 23 પ્રગનેન્ટ મહિલાઓ છે. મચ્છરોને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા કીટનાશકોને બદલવા માટે ICMRના તજજ્ઞોની એક ટીમ ટીમ જયપુર પહોંચી ગઈ છે. ઝીકા, ડેંગુ અને ચિકનગુનિયા જેવા રોગ મચ્છરોના કારણે ફેલાયા છે. ભીડવાળી જગ્યા શાસ્ત્રી નગર અને સિંધી કેમ્પમાં નમૂના તરીકે લેવાયેલા મચ્છોરોમાં ઝીકા વાઈરસ મળ્યા છે. જયપુરમાં ઝીકા વાઈરસની અસર આ જ વિસ્તારમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય મંત્રીની બેઠક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ને રોજ આ રોગની સ્થિતિ પર નજર રાખવા માટે આદેશ આપ્યો છે અને લોકોને તેનાથી ન ગભરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ઝીકા વાઈરસને રોકવા માટે અને તેના નિયંત્રણ માટે ભરાયેલા પગલાની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી.

14 વિદ્યાર્થીઓ અલગ વોર્ડમાં

જોકે, રાહતની વાત એ છે કે ઝીકાના પ્રભાવિત દર્દીઓની સારવાર બાદ તેમનું સ્વાસ્થ્ય સારું છે. રાજપૂત હોસ્ટેલના 84 વિદ્યાર્થીઓના લોહી અને પેશાબના નમૂના લેવામાં આવ્યા. તેમાં 14 વિદ્યાર્થીઓને ઈલાજ માટે અલગ બોર્ડમાં મોકલવામાં આવ્યા છે. જયપુરમાં ઝીકા વાઈરસથી પ્રભાવિત મોટાભાગના લોકો શાસ્ત્રી નગરના છે. પ્રભાવિત વિસ્તારમાં સતત ફોગિંગ અને ચેપને અટવકાવવા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ લક્ષણોથી ઝીકાને ઓળખો

ઝીકા વાઈરસનો ચેપ લાગ્યો હોય તેવી 5માંથી 1 વ્યક્તિમાં લક્ષણો દેખાય છે. વાઈરસનો શિકાર લોકોને જોઈન્ટ પેઈન, આંખો લાલ થવી, ઉલ્ટી થવી, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગનો શિકાર કેટલાક દર્દીઓને એડમિટ કરવાની નોબત આવે છે. ઝીકા વાઈરસના દર્દીએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ.

કઈ રીતે બચશો

– ઘરમાં મચ્છર ના થવાદો, મચ્છરદાનીનો ઉપયોગ કરો.

– જે મહિલાઓ મહિલાઓ લાંબા ટ્રાવેલ પછી પાછી આવી હોય અથવા ઈન્ફેક્ટેડ જગ્યા પર ગઈ હોય તેઓ આગામી 8 અઠવાડિયા સુધી ગર્ભધારણથી બચે.

– ઘરના બારી, દરવાજા પર જાળી લાવી લો, જાળીવાળા દરવાજા હંમેશા બંધ રાખો.

– જો તમને ડાયાબિટિસ, હાઈપરટેન્શન, ઈમ્યુનિટી ડિસઓર્ડર જેવી તકલીફ હોય તો યાત્રા પહેલા ડૉક્ટરની સલાહ લો.

– પ્રવાસ કરીને આવ્યા પછી બે અઠવાડિયા સુધી સામાન્ય તાવ રહે તો તાત્કાલિક ડૉક્ટરને બતાવો.

(5:48 pm IST)