Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નાગદેવતાના આશીર્વાદ લેવામાં મા-બાપે પાંચ મહિનાની દીકરી ગુમાવી

રાયપુર તા. ૧૮ :  છત્તીસગઠના રાયપુરમાં એક અજબ મામલો સામે આવ્યો છે. અહીં પાંચ મહિનાની બાળકીનું સાપના દંશથી મોત થઈ ગયું. ઘટના ત્યારે બની કે જયારે બાળકીના માતા-પિતા તેને નાગદેવતાના આશીર્વાદ અપાવી રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, સાપના દંશ બાદ પણ બાળકીના માતા-પિતાએ ઘટનાને ગંભીરતાથી ન લીધી અને સ્થિતિ બગડી પછી તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત થઈ ચૂકયું હતું.

ઘટના રાયપુર જિલ્લાના રાજનંદગામની છે. અહીં મોહારા નિવાસી મદારી બિલ્લૂરામ મરકામ નગરના સિંગદઈ વોર્ડમાં ખેલ બતાવી રહ્યો હતો. આ દરમિયાન તે રઘુનાથના ઘરે પહોંચ્યો. તેણે નાગદેવતાના આશીર્વાદ લેવાની વાત પરિવારને કહી. તેમની પાંચ મહિનાની બાળકી બીમાર હતી, એટલે પરિવારે તેને નાગદેવતાના આશીર્વાદ અપાવ્યા.

મદારીએ કોબરા નાગને બાળકીના ગળામાં વીંટાળી દીધો. કોબરાએ બાળકીને દંશ મારી દીધો. મદારીએ કહ્યું કે, સાપ ઝેરી નથી અને તેણે બાળકીને સાપે આશીર્વાદ આપ્યા હોવાનો દાવો કર્યો. બીજી તરફ ઘરવાળા પણ બાળકીને નાગદેવતાના આશીર્વાદ મળ્યા બાદ નિશ્વિત થઈ ગયા. થોડી વાર પછી બાળકીના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. ગભરાયેલા પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઈ ગયા, જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધી. ગુસ્સે ભરાયેલા લોકોએ મદારીને પકડીને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો અને પછી પોલીસને સોંપી દીધો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૬)

 

(11:34 am IST)