Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પહેલાં ડિજિટલ મીડિયાને રેગ્યુલેટ કરવાની જરૂર છે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું : સુપ્રીમ કોર્ટ મીડિયાને નિયંત્રિત કરવા માગે છે તો ડિજિટલ મીડિયા માટેની માર્ગદર્શિકા નક્કી થવી જોઈએ : કેન્દ્ર

નવી દિલ્હી,તા.૧૮ : કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ કોઈ એક ચેનલના એપિસોડને કારણે મીડિયા નિયમન કરવા માગતી હોય તો સૌ પ્રથમ ડિજિટલ મીડિયા માટે માર્ગદર્શિકા તૈયાર કરે. સુપ્રીમ કોર્ટે એક ટીવી ચેનલના કાર્યક્રમ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે મીડિયામાં સ્વ-નિયમનની સિસ્ટમ હોવી જોઈએ. જેને લઈને પોતાનો જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ મીડિયાને નિયંત્રિત કરવા માંગે છે તો ડિજિટલ મીડિયા માટેની માર્ગદર્શિકા પહેલા નક્કી થવી જોઈએ. ડિજિટલ મીડિયાની પહોંચ ઘણી ઝડપી છે. આ ટીવી ચેનલના પ્રોગ્રામમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ એક નિશ્ચિત સમુદાયના લોકોને સિવિલ સર્વિસમાં ઘૂસણખોરી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે અંગે આ ચેનલે કાર્યક્રમ બનાવ્યો હતો. આ કાર્યક્રમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીની સુનાવણી કરતા એવી ટિપ્પણી કરી કે ડિબેટના નામે સનસનાટી ઊભી કરવામાં આવી રહી છે. 

          કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે જવાબ આપવા જણાવ્યું હતું. ઉપરાંત, ટીવી ચેનલને પણ જવાબ આપવા જણાવ્યું હતું. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે શુક્રવારે આ કેસની સુનાવણી કરશે. આ કેસની સુનાવણી શરૂ થતાં જ ટીવી ચેનલના વકીલ શ્યામ દિવાને કહ્યું કે તેમના વતી જવાબ દાખલ કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ મીડિયા રેગ્યુલેશન કરવા માગે છે, તો પહેલા ડિજિટલ મીડિયાને રેગ્યુલેટ કરવાની જરૂર છે કારણ કે વધુ ઝડપી પહોંચ ધરાવે છે અને વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવી એપના માધ્યમથી વધુ વાયરલ થાય છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાને લગતા પૂરતા નિયમો છે અને ન્યાયિક ચુકાદાઓ પણ પહેલાથી જ છે. પરંતુ જો કેસની ગંભીરતા અનુસાર ધ્યાનમાં લેવામાં આવે અને જો કોર્ટ નિર્ણય લે તો ડિજિટલ મીડિયાને પહેલા નિયંત્રિત કરવાની જરૂર છે. મુખ્ય પ્રવાહના માધ્યમોનું પ્રકાશન પછી તે પ્રિંટ મીડિયા હોય અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા એકવાર જ થાય છે. પરંતુ ડિજિટલ મીડિયામાં તે વધુ ઝડપથી અને વધુ વ્યાપક રીતે થાય છે અને ત્યાં દર્શકોની વિશાળ શ્રેણી હોય છે અને આ બધું સોશિયલ મીડિયા એપના કારણે થાય છે કે જેના દ્વારા કોઈપણ મેસેજને વાયરલ કરી શકાય છે.

           કેન્દ્ર સરકારે કહ્યું કે એક ચેનલના એપિસોડને કારણે કોર્ટે માર્ગદર્શિકા ન બનાવવી જોઈએ. જો દિશાનિર્દેશો તૈયાર કરવા જ હોય તો પહેલા ડિજિટલ મીડિયા માટે હોવા જોઈએ. ડિજિટલ મીડિયાનો ફેલાવો વધારે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે તેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંતુલન સંબંધિત સરકારના અનેક નિર્ણયો સાથે અગાઉના ઘણા ચુકાદાઓ પણ છે. કોર્ટને કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે હાલની અરજી ફક્ત એક જ ચેનલ પર પ્રસારીત કરવામાં આવેલ કાર્યક્રમને લઈને છે અને આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ મામલે કોઈ માર્ગદર્શિકા જાહેર ન કરવી જોઈએ. પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીવી ચેનલના આગામી એપિસોડના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ કાર્યક્રમ પ્રથમ નજરમાં લઘુમતી સમુદાયને બદનામ કરતો લાગે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પાંચ નિષ્ણાંતોની એક સમિતિની રચના થઈ શકે છે જે ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્વ-નિયમનના ધોરણોને નિર્ધારિત કરે.

            કોર્ટે કહ્યું કે આ સમિતિના કોઈ પણ સભ્યો રાજકીય મતભેદવાળા ન હોય અને અમે ઇચ્છીએ છીએ કે આ સભ્યો એવા હોય જેમનું વ્યક્તિત્વ દેશમાં સામાન્ય નાગરીકો માટે વખાણવા યોગ્ય હોય. સુપ્રીમ કોર્ટે એક ટીવી ચેનલના કાર્યક્રમ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે મીડિયામાં સ્વ-નિયમનની સિસ્ટમ હોવી જોઈએ. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે કેટલાક મીડિયા ગ્રુપના કાર્યક્રમોમાં થતા ડિબેટ પ્રોગ્રામ ચિંતાનો વિષય છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં ન્યુઝ ચેનલના મુખ્ય સંપાદકે તેમના કાર્યક્રમનો બચાવ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી કે આઈએએસ, આઈપીએસ સેવા માટે લઘુમતી સમુદાય અરજદારોને ટેકો આપવા માટે પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવામાં આવે છે. આ કાર્યક્રમ લોકહિતની બાબતનો હોવાથી પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. તેની જાહેર ચર્ચા કરવાની જરૂર છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય કાવતરાને ઊજાગર કરવાનો છે અને કેસની તપાસ થવી જોઇએ.

(7:18 pm IST)