Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું

નરેન્દ્ર સિંહ તોમર સંભાળશે તેમના મંત્રાલયનો ચાર્જ

નવી દિલ્હી,તા.૧૮: કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જયારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જયારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે.

આ બાજુ હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમણે ખેડૂતો વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. ખેડૂતોની સાથે તેમની પુત્રી અને બહેન તરીકે સાથે રહેવાનો મને ગર્વ છે. સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. જેના કારણે ૨૦ લાખ ખેડૂતોને અસર થશે. આઝાદી  બાદ દરેક રાજયે પોતાની યોજના બનાવી. પંજાબ સરકારે છેલ્લા ૫૦ વર્ષ ખેતી અંગે દ્યણા કામ કર્યાં. પંજાબમાં ખેડૂતો ખેતીને પોતાનું બાળક સમજે છે. પંજાબ પોતાનું પાણી દેશવાસીઓ પર કુરબાન કરે છે.

(11:42 am IST)