Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કાલથી રણપ્રદેશમાં મહાસંગ્રામ ચોગ્ગા-છગ્ગાની બોલશે રમઝટ

આવતીકાલથી યુએઇમાં આઇપીએલ-૨૦૨૦ની ભવ્યાતિભવ્ય પ્રારંભ : સર્વત્ર છવાશે ક્રિકેટ ફિવર : ગ્લેમરસ ભરી આ આઇપીએલ ટુર્નામેન્ટની નવી સિઝન કોરોના કાળમાં ફેન્સ - ચિયરલિડર્સ વગર દુબઇ, શારજાહ અને અબુધાબીમાં શરૂ થશે : ૧૩મી સિઝનનો પ્રથમ મેચ મુંબઇ વિરૂધ્ધ ચેન્નઇ વચ્ચે રમાશે : ટુર્નામેન્ટને લઇને ભારતમાં ક્રિકેટ રસિકોમાં જબરી ઉત્તેજના

મુંબઇ તા. ૧૮ : આવતીકાલથી ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રતિષ્ઠીત ઇન્ડિયન પ્રીમીયર લીગની ૧૩મી સિઝનનો યુએઇ ખાતે પ્રારંભ થઇ રહ્યો છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-૧૯ મહામારી વચ્ચે યોજાનારી આઇપીએલ ટુર્નામેન્ટ અગાઉની ટુર્નામેન્ટ કરતા ઘણી અલગ પ્રકારની હશે. આવતીકાલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે જેમાં પ્રથમ મુકાબલો મુંબઇ વિરૂધ્ધ ચેન્નઇ વચ્ચે રમાશે.

ગ્લેમરસ આઇપીએલ ટુર્નામેન્ટની આ સિઝન ફેન્સ અને ચિયરલિડર્સ વગર રમાશે. આ ટુર્નામેન્ટ ખાલી સ્ટેડીયમમાં રમાડવામાં આવશે. આવતીકાલે પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માર્ચ-૨૦૧૯ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરશે.

આઇપીએલ યુએઇના ત્રણ શહેરો દુબઇ, અબુધાબી અને શારજાહમાં યોજાશે. ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ કલાકથી શરૂ થશે.

આઇપીએલ ટુર્નામેન્ટનો સર્વત્ર જબરો ક્રેઝ હોય છે. ક્રિકેટ રસિકોમાં આવતીકાલથી આઇપીએલની ફિવર છવાઇ જશે. અત્રે નોંધનિય છે કે પહેલા માર્ચમાં આ ટુર્નામેન્ટ યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે પાછી ઠેલવામાં આવી છે અને હવે તે યુએઇમાં યોજાઇ રહી છે. આ ટુર્નામેન્ટ ટ્વેન્ટી ટવેન્ટી હોય મેદાન પર ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલશે.

આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થવા આડે થોડા જ કલાકો બાકી હોય એક નવો નિયમ બહાર આવ્યો છે. જે અનુસાર પહેલીવાર એવું બનશે કે તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમ નહિ આવે પરંતુ પસંદ થયેલા ખેલાડીઓ જ સ્ટેડિયમ જશે. કોરોના વાયરસ મહામારીને જોતાં ક્રિકેટ બોર્ડ અને આઇપીએલ કમિટિએ કડક નિયમો બનાવ્યા છે કે જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે.

આઇપીએલ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો વચ્ચે મુકાબલો થશે. એક મહિના ઉપરાંત રમાનારી આ ટુર્નામેન્ટને કારણે લોકો થોડા સમય સુધી કોરોનાને પણ ભૂલી જશે તેવું જણાય છે.

(11:11 am IST)