Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હેલ્મેટ-પી.યુ.સી.ના નવા કાયદાનો અમલ ૧૫ ઓકટોબર સુધી મોકુફ

લોકોનો આક્રોશ ટોપ ગિયરમાં આવી જતા સરકારે કાર્યવાહીમાં બ્રેક મારવી પડીઃ ગુજરાતવાસીઓને રાહત : નવા ટુ વ્હીલર્સની ખરીદી કરનારને વિતરક તરફથી હેલ્મેટ મફત આપવા આદેશઃ નવા ૯૦૦ પી.યુ.સી. કેન્દ્રો ખોલાશેઃ આર.સી. ફળદુની જાહેરાત

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નિયમો તા. ૧૬મીથી લાગુ કર્યા બાદ ખાસ કરીને હેલ્મેટ અને પી.યુ.સી. બાબતે લોકોનો આક્રોશ ભભુકતા આખરે સરકારે ઝુકીને બન્ને બાબતોમાં રાહત આપી છે. હેલ્મેટ અને પી.યુ.સી.ના નવા કાયદાનો અમલ ૧૫ ઓકટોબર સુધી મોકુફ રાખવાની વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ કેબીનેટની બેઠક બાદ જાહેરાત કરી છે. બન્ને બાબતનો જુનો કાયદો અને તે સિવાયની બાબતો માટે નવો કાયદો યથાવત રહેશે. નવા ટુ વ્હીલર્સ ખરીદનાર ગ્રાહકને વેચાણ કરનાર ડીલર તરફથી વાહનની કિંમતમાં હેલ્મેટની કિંમત ઉમેર્યા વગર આઈ.એસ.આઈ. માર્કાના હેલ્મેટ મફત આપવા સરકારે આદેશ આપ્યો છે. આવતા ૧૦ દિવસમાં રાજ્યમાં નવા ૯૦૦ પી.યુ.સી. કેન્દ્રો ખોલવા માટે સરકારે કામગીરી આગળ વધારી છે. સરકારની જાહેરાતથી ગુજરાતવાસીઓને રાહત થઈ છે.

સરકારે પૂર્વ તૈયારી વગર ટ્રાફીકના નવા નિયમો અમલમા મુકી દીધેલ. જેના કારણે હેલ્મેટ વગર વાહન ચાલક પકડાઈ તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર પછી દર વખતે રૂ. ૧૦૦૦ની દંડની જોગવાઈ કરવામાં આવેલ. બજારમાં પુરતી હેલ્મેટ ન હોવાથી ખરીદી માટે ધસારો થયેલ અને કાળાબજાર શરૂ થયેલ. પી.યુ.સી. કેન્દ્રો પર પણ લાંબી લાઈનો લાગી હતી. લોકોના આક્રોશનો પ્રચારના વિવિધ માધ્યમો દ્વારા બુલંદ પડઘો પડેલ. આ અંગે આજે કેબીનેટમાં વિગતવાર ચર્ચા કરવામાં આવેલ. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ રાહતની જાહેરાત કરી છે. તેમની જાહેરાત મુજબ હેલ્મેટ અને પીયુસી નહી હોય તો આવતા ૨૭ દિવસ સુધી એટલે કે ૧૫ ઓકટોબર સુધી નવી જોગવાઈ મુજબનો દંડ લાગુ પડશે નહિ. નવા ટુવ્હીલર્સની ખરીદી સાથે ગ્રાહકને વધારાની કિંમત ચૂકવ્યા વગર હેલ્મેટ ફ્રી મળશે. પીયુસી કેન્દ્રો પરની લાઈનો ઘટાડવા નવા ૯૦૦ કેન્દ્રો ખોલવામાં આવશે.

પોલીસે છેલ્લા ૩ દિવસથી નવા નિયમોના પાલન માટે આકરી કાર્યવાહી શરૂ કરેલ. આજે સરકારની જાહેરાતથી આ ઝુંબેશને બ્રેક લાગશે. સરકારની જાહેરાત ગુજરાતના વાહન ચાલકો માટે રાહત રૂપ છે.

(3:12 pm IST)